રાજકોટ
News of Tuesday, 29th November 2022

૩૦ વર્ષના સંદિપે જંતુ મારવાની દવા પી જિંદગી ટૂંકાવી

કોઠારીયા રોડની ન્યુ સાગર સોસાયટીમાં બનાવઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટી શેરી નં. ૪માં રહેતાં સંદિપ ખીમજીભાઇ કાજાવદરા (ઉ.વ.૩૦) નામના યુવાને જંતુ મારવાની દવા પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

સંદિપ ગઇકાલે બપોરે ઘરે એકલો હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તે ઉલ્ટી કરતો હોઇ તપાસ કરતાં દવા પી લીધાનું જણાતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગરના હેડકોન્સ. પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સંદિપ ઇમિટેશનનું કામ કરતો હતો અને અપરિણીત હતો. પિતા હયાત નથી, તેના માતા રસોઇ કામ કરે છે. કારણ અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. આધારસ્થંભ દિકરાના મોતથી માતા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

(12:09 pm IST)