રાજકોટ
News of Monday, 31st May 2021

જંગલેશ્વરમાં માવતરના ઘરે આરતીબેન વાંજાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિતાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૧: જંગલેશ્વર મેઇન રોડ વેલનાથ ચોક પાસે માવતરના ઘરે આવેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર વેલનાથ ચોકમાં માવતરના ઘરે છેલ્લા દોઢ વર્ષથી રહેતા આરતીબેન રાજુભાઇ વાંઝા (ઉ.વ. ર૪) એ ગઇકાલે ઘરના ઉપરના માળે રૂમમાં લોખંડનાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો તેને બોલાવવા જતા આરતીબેનને લટકતી હાલતમાં જોઇ તાકીદે ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇ.એમ.ટી. વિવેકભાઇએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. ડી. એ. ધાંધલ્યા તથા રાઇટર મયુરરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક આરતીબેન બે બહેન એક ભાઇમાં નાના હતા તેના અઢી વર્ષ પહેલા આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતા રાજુ વાંજા સાથે પાળ ગામે સમુહ લગ્નમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેના સાસુ રમાબેન અને દેરાણી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને માવતરે તેડી આવ્યા હતા. ગઇકાલે કૌટુંબીક ભાણેજ જમાઇ સાથે પિતાની ટેલીફોનીક વાતચીતમાં સાસરીયા પક્ષના લોકો તેડવા માગતા ન હોઇ, જો તેડી જાય તો માવતરના લોકો મરી ગયા તેમ સમજીને જીવવાનું રહેશે તેવી શરતો મુકયાની વાતચીત પરિણીતા સાંભળી જતા તેણે આ પગલું ભર્યાનું પરિણીતાના પિતાએ જણાવ્યું હતું. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)