અટીકા નારાયણનગરમાં જુના ડખ્ખામાં તલવાર-પાઇપ-કુહાડી ઉડ્યાઃ ત્રણને ઇજા
ભાદાભાઇ સોલંકી, રેખાબેન અને સામા પક્ષે કાનાભાઇ ઘવાયા
રાજકોટ તા. ૩૧: ઢેબર રોડ અટીકા પાસે નારાયણનગર ગઢવીબાપાના મંદિર પાસે અગાઉના મનદુઃખને કારણે દેવીપૂજક શખ્સો વચ્ચે તલવાર, પાઇપ, કુહાડીથી મારામારી થતાં ત્રણને ઇજા થતાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે.
આ બનાવમાં નારાયણનગરના છેડે રખાદાદાના મંદિર પાસે ઝૂંપડામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં ભાદાભાઇ દૂલાભાઇ સોલંકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી વિજય રામદાસ, પ્રેમજી રામદાસ, જીતુ રમેશ વાઘેલા અને મુકેશ રમેશ વાઘેલા સામે ગુનો નોંધ્યો છે. ભાદાના કહેવા મુબજ અગાઉના ઝઘડાનો ખાર રાખી આ ચારેયએ તલવાર, કુહાડી, પાઇપથી હુમલો કરી પોતાને અને સાહેદ રેખાબેનને ઇજા કરી હતી.
સામા પક્ષે નારાયણનગર ઝૂપડામાં રહેતાં અને ફ્રુટની ફેરી કરતાં કાનાભાઇ વશરામભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી સુરેશ દુલા, સુરેશ હેમુ અને તના છોકરા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હતો. કાનાભાઇના કહેવા મુજબ અગાઉ પોતાના સગાએ સામેવાળા ભાદા દુલાને માર માર્યો હોઇ તેનો ખા રાખી તલવાર, કુહાડી, પાઇપથી હુમલો કરાયો હતો. હેડકોન્સ. એન. એલ. ચાવડાએ બંને ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.