રાજકોટ બન્યું જળનગરી : મેઘ તાંડવે સર્જી તારાજી : ઠેર ઠેર નદીઓ વહી
રાજકોટ : ગઇકાલથી રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને આજે વહેલી સવારે ૪ાા વાગ્યા સુધી વરસાદનું જોર રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં ૮ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગઇકાલ બપોરથી જ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલ. પરાબજાર, ૧૫૦ રીંગ રોડ, ભકિતનગર, રેલનગર અંડરબ્રીજ, લક્ષ્મીનગર નાલુ, રૈયા ચોકડી, મવડી ચોકડી, માધાપર ચોકડી, રામનાથપરા, થોરાળા, લલુડી વોંકળી, આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં ૫ થી ૬ ફુટ પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મેયર બીનાબેન આચાર્ય જ્યાં પાણી ભરાયા હતા તે વિસ્તારોની રૂબરૂ મુલાકાતે દોડી ગયા હતા અને ઇજનેરોને પાણી નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. તસ્વીરમાં ગઇકાલે સર્જાયેલ મેઘતાંડવથી રાજકોટ જળનગરીમાં પરિવર્તીત થયેલ તે નજરે પડે છે અને જળબંબાકાર સ્થિતિને કારણે સર્જાયેલ તારાજી નજરે પડે છે. (તસ્વીરો : અશોક બગથરીયા)