Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કચ્છના ઔધોગિક એકમોએ તેમના મજુરોની તમામ વિગતોનું રજીસ્ટ્રર નિભાવવા આદેશ: કલેકટરનું જાહેરનામું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 કચ્છ જિલ્લામાં ભૂકંપ બાદ રાજય સરકારશ્રીની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔધોગિક એકમો શરૂ થયેલા છે અને ઔધોગિક એકમોમાં રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પુરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઔધોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાકટરો પાસેથી મજુરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય, તે ખુબજ જરૂરી હોવાથી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ ઔધોગિક એકમોએ લેબર કોન્ટ્રાકટર પાસેથી મેળવેલ મજુરો બાબતે કાર્ય પધ્ધતિ મુજબ અમલ કરવાનું જાહેરનામું બહાર પડાયું છે.

દરેક ઔધોગિક એકમોના લેબર કોન્ટ્રાકટરોએ પ્રથમ મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ (જેનો વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ લેબર કોન્ટ્રાકટરોઓ, મજુરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાકટરોએ મજુર પુરા પાડતા પહેલા સબંધિત મદદનીશ મજુર કમિશનરશ્રી, પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે.

નોંધણી મેળવેલ લેબર કોન્ટ્રાકટરોએ જુદા જુદા ઔધોગિક એકમોને પુરા પાડેલ મજુરોની યાદી મદદનીશ કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, ભુજ અને ગાંધીધામને દર માસે પુરી પાડવાની રહેશે. તેમાં મજુરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગતો આપવાની રહેશે. પુરા પાડેલ મજુરોની ઓળખ સાબિત કરવા માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાકટરે પોતાની કચેરીમાં રાખવાની રહેશે. અને માંગણી થયે રજુ કરવાની રહેશે. કામે રાખેલ મજુરો પૈકી મજુરો છુટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, પશ્‍ચિમ કચ્છ-ભુજ તેમજ પૂર્વ ગાંધીધામને આપવાની રહેશે.

ઔધોગિક એકમોએ રોકેલ લેબર કોન્ટ્રાકટરોની માહિતી દર માસે પોલીસ અધિક્ષકશ્રી, ભુજ તથા ગાંધીધામ ખાતે મદદનીશ મજુર કમિશનરશ્રી, કચેરીને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાકટરોએ કામે રાખેલ મજુરોની સંપૂર્ણ વિગતો તથા ફોટા સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તે મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ પાસેથી સહી, સિકકા કરાવેલ હોવું જોઇએ. જિલ્લા/રાજય બહારથી પુરા પાડેલ મજુરોનું જે તે જિલ્લા/રાજયનું પુરૂં સરનામું ફોટો સહિત રજીસ્ટરમાં પુરાવાના આધારે નોધવું જોઇએ. કોઇપણ લેબર કોન્ટ્રાકટરો નોંધણી કરાવ્યા સિવાય ઔધોગિક એકમોને મજુરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔધોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાકટરોથી મજુરો મેળવી શકશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તા.૩૦/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

(9:25 am IST)