Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ટંકારામાં કાલે વિશ્‍વકર્મા જયંતિની થશે ઉજવણી

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા.૧  : ટંકારા તાલુકાના સમસ્‍ત ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા કાલે વિશ્વકર્મા ભગવાનની જયંતી ઉજવાશે. સાથે રાંદલમાની પધરામણી કરી ઉત્‍સવ ઉજવવામાં આવશે. છેલ્લાં ૧૯ વર્ષથી આ ધાર્મિક મહોત્‍સવની ટંકારામાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્‍યારે આ વર્ષે પણ આ મહોત્‍સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાશે.

વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરતા સમાજના પ્રમુખ અમળતલાલ કારેલીયાએ જણાવ્‍યું હતું કે, ૩ ફેબ્રુઆરીને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે રાંદલ પુજન, ત્‍યારબાદ ૧૦:૦૦ કલાકે ભગવાન વિશ્વકર્માનું પૂજન ગામધણી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે કરીને મહોત્‍સવની શરૂઆત કરવામાં આવશે. ત્‍યારબાદ સમાજના મંત્રી અશોકભાઈ ભાલારાની આગેવાનીમાં લક્ષ્મીનારાયણ મંદિરથી શોભાયાત્રા નીકળશે. જે સુતાર મોતીભાઈ વિરજીભાઈ બકરાણીયા પરિવારની વાડી તથા મારૂ પરિવારના કુળદેવી માતાજીના મઢે પહોંચશે. અહી સંસ્‍થાની ધર્મસભા, સત્‍સંગ, સ્‍તુતિ અને કારોબારી બેઠક ઉપપ્રમુખ નવીનભાઈ બકરાણીયાની આગેવાનીમાં યોજાશે. અંતમાં સૌ કાર્યક્રમમાં પધારેલા જ્ઞાતિ બંધુ સહ પરિવાર મહાપ્રસાદ લેશે.

(1:11 pm IST)