Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગીર સોમનાથના DSP મનોહરસિંહ જાડેજા નર્મદા જિલ્લાની ગંભીર ઇજાગ્રસ્ત આદિવાસી દીકરીને મદદરૂપ બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની શાળાએ જતી આદિવાસી બાળકીનો ગંભીર અકસ્માત થયો હતો, એ બાબતની ફેસબુક પોસ્ટ વાંચી ભુતકાળમાં નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગીર સોમનાથના DSP તરીકે ફરજ બજાવી રહેલા IPS અધિકારી મનોહરસિંહ જાડેજા ગરીબ બાળકી મલ્લિકા રાજેશ વસાવાને આર્થિક મદદ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું સાર્થક કરી બતાવ્યું હતું.
ઘટના હતી 5/01/2023 ની, એ દિવસે શાળાએથી ઘરે આવતી વેળાએ નાંદોદ તાલુકાના વાઘેથા ગામની મલ્લિકા રાજેશ વસાવાનો રાજપીપળા એસટી ડેપો ખાતે અકસ્માત થયો હતો.આર્થિક રીતે બાળકીના પરિવારની સ્થિતિ ખરાબ હતી.આ બાબતની જાણ થતાં ગામકુવા ગામના અતુલ વસાવા બાળકીના પરિવારને આર્થિક મદદ કરી અન્ય લોકો પણ મદદ કરે એ બાબતની ફેસબુક પોસ્ટ મૂકી હતી.આટલી બધી વ્યસ્તતા છતાં ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા IPS મનોહરસિંહ જાડેજાએ ફેસબુક પોસ્ટ વાંચી અતુલ વસાવાને ફોન કરી ઇજાગ્રસ્ત ગરીબ બાળકી વિશે માહિતી મેળવી, અને તુરંત 20 હજાર રૂપિયા બાળકીને આર્થિક મદદ માટે મોકલી આપ્યા હતા
ઘાયલ બાળકીના પિતા રાજેશ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળા એસટી ડેપો પર બસે ઝડપથી વળાંક મારતા બસનું ટાયર મલ્લિકાના પગ પર ચઢી જતાં ગંભીર ઈજા પહોચી હતી.તે છતાં બસ ડેપો પરથી કોઈ કર્મચારી ઘાયલ બાળકીને હોસ્પિટલ લઈ જવા તૈયાર નહોતું.  જ્યારે મલ્લિકા સાથે આવેલી અન્ય યુવતીઓ એને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બાળકીને ઓપરેશન કરી પગમાં સળીયા નાખવામા આવ્યા છે.ત્યારે એસટી ડેપોના અધિકારીઓ માનવતા ભુલી ગયા હોવાનું તથા એક પોલીસ અધિકારી પ્રજાનો સાચો મિત્ર હોવાનું પુરવાર થયું છે

(8:00 pm IST)