Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કલ્યાણપુરના પાનેલી ગામે જુગારધામ પર એલ.સી.બી. પોલીસ ત્રાટકી મહિલાઓ સહિત 7 ખેલૈયાઓ ઝડપાયા:4.33 લાખનો મુદ્દામાલ કબજે

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ગત મોડી સાંજે એક શખ્સ દ્વારા સંચાલિત જુગારના અડ્ડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, જામનગર - રાજકોટના મહિલાઓ સહિત સાત શખ્સોને દબોચી લીધા હતા. આ કેસમાં પોલીસે રોકડ રકમ સાથે બાઈક, મોબાઈલ સહિત કુલ રૂ. 4.33 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

  આ પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. ટીમ દ્વારા ગત સાંજે કલ્યાણપુર પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, સજુભા જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામની સીમમાં નિલેશભાઈ રણમલભાઈ બેલાની વાડીના મકાનમાં તેના પિતરાઈ ભાઈ જયેશ ભાયાભાઈ બેલા નામના શખ્સ દ્વારા જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી પરથી એલસીબી સ્ટાફ દ્વારા ગત સાંજે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.

   જયેશ ભાયાભાઈ બેલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી સ્ત્રી-પુરુષોને બોલાવી અને અહીં જુગાર રમવાની સુવિધા તેમજ લાઇટ પાણી વિગેરે પુરા પાડી અને તેના બદલે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે ખંભાળિયામાં રહેતા નથુ નારણ કાંબરીયા, રાવલ ગામના કાસમ સલેમાન ખીરાણી, જામનગરના ખીમજી નરસીભાઈ પુરોહિત, મહાદેવીયા (તા. કલ્યાણપુર) ગામના રમેશ પરબત ગોજીયા, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અલ્પાબેન સંજયભાઈ ચાવડા અને જામનગરના રીટાબા નવલસિંહ જાડેજા નામના કુલ સાત વ્યક્તિઓને દબોચી લેવામાં આવ્યા હતા.

  આ સ્થળેથી પોલીસે કુલ રૂપિયા 3,12,900 ની રોકડ રકમ ઉપરાંત રૂ. 20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 4,33,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 આ પ્રકરણમાં સંભવિત રીતે અન્ય સંડોવાયેલા શખ્સો સહિત ઉપરોક્ત સાતેય પત્તાપ્રેમીઓ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

   આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ. કે.કે ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, દેવાભાઈ મોઢવાડિયા, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, મીરાબેન વરમલ, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

(1:05 am IST)