Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામનગરના પ્રદર્શન મેદાનમાં આજથી મીની શ્રાવણ મેળાનો પ્રારંભ

૧ ઓગસ્‍ટ થી ૧૨ ઓગસ્‍ટ સેવાભાવી સંસ્‍થા અને ત્‍યારબાદ મહાનગરપાલિકાનું આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૧, જામનગર ના પ્રદર્શન મેદાનમાં આજથી એક મહિના માટેના શ્રાવણી મેળાનું આયોજન થયું છે, જેમાં ૧ ઓગસ્‍ટ થી ૧૧ ઓગસ્‍ટ સુધી મીની શ્રાવણ મેળો યોજાશે, અને ત્‍યારબાદ રક્ષાબંધનના દિવસથી અમાસના તહેવાર સુધી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે. બે વર્ષના કોરોના કાળ ના સમય પછી પ્રથમ વખત શ્રાવણી મેળો યોજાઈ રહ્યો છે, ત્‍યારે લોકોમાં પણ અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૨ ઓગસ્‍ટ થી ૨૭ ઓગસ્‍ટ સુધી રક્ષાબંધનના તહેવારથી અમાસ સુધીના સમયગાળા માટે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરાયું છે, જેના માટેના ટેન્‍ડર ની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવાઇ છે, અને મેળાના ધંધાર્થીઓ દ્વારા ભરવામાં આવેલા ટેન્‍ડરો પૈકી ઐતિહાસિક કહી શકાય તેટલી ૧ કરોડ ૬૭ લાખની મહાનગરપાલિકાને આવક પણ થઈ છે.

તે પહેલાં જામનગર શહેરના પૂર્વ ઇતિહાસને ધ્‍યાનમાં રાખીને શ્રાવણ માસના ચાર સોમવાર સહિતના દિવસોમાં પણ અગાઉ શ્રાવણી મેળાઓ યોજાતા હતા, અને જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી શહેરના પુરાણ પ્રસિદ્ધ સિધ્‍ધનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં દર્શન કરીને રંગમત- નાગમતી નદીના પટમાં તેમજ લાખોટા તળાવની ફરતે શ્રાવણી મેળા નો આનંદ મેળવતા હતા,

પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન ના માત્ર જન્‍માષ્ટમીના તહેવારો દરમિયાન મેળા નું આયોજન કરાતું હતું. જો કે રંગ મતી નદીના પટમાં ભાતીગળ મેળો ચાલુ રખાયો હતો. આ વખતે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરની મધ્‍યમાં આવેલો પ્રદર્શન મેદાનને વધુ સુવિધા યુક્‍ત બને તેના પ્રયાસોને ભાગરૂપે શ્રાવણી મેળો યોજવામાં આવ્‍યો છે. જામનગરની સેવાભાવી સંસ્‍થા રંગતાલી ગ્રુપ દ્વારા ૧ ઓગસ્‍ટથી ૧૧ ઓગસ્‍ટ સુધીના સમયગાળા માટે મીની શ્રાવણ મેળાનું આયોજન કરાયું છે, અને તેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાના ધંધાર્થીઓ માટેના ટેન્‍ડર ઇસ્‍યુ કરવામાં આવ્‍યા હતા, અને તેઓના ટેન્‍ડરો મંજૂર થયા છે, તે તમામ ધંધાર્થીઓ દ્વારા અગાઉથી તૈયારીના ભાગરૂપે ૧ ઓગસ્‍ટ થી ૧૧ ઓગસ્‍ટ સુધી મેળા નું આયોજન કરાશે અને જેમાં કેટલીક મનોરંજન રાઈડ, ફૂડ સ્‍ટોલ, આઈસ્‍ક્રીમ સ્‍ટોલ વગેરે ચાલુ રહેશે.

જામનગર ના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, અધિક કલેકટર મિતેશ પંડ્‍યા, પ્રાંત અધિકારી આસ્‍થા ડાંગર, શહેર વિભાગના મામલતદાર જેડી જાડેજા વગેરે દ્વારા પ્રદર્શન ગ્રાઉન્‍ડને વધુને વધુ સુવિધા યુક્‍ત બનાવવાના ભાગરૂપે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે જામનગર મહાનગરપાલિકાના મ્‍યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડી,ડેપ્‍યુટી કમિશનર એ.કે. વસ્‍થાણી ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર મીનાબેન કોઠારી,સમગ્ર આયોજન માટે વધુ ઉત્‍સાહી સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્‍યુટી મેયર તપન પરમાર તથા અન્‍ય અધિકારીઓ અને પદાધિકારીઓના સહયોગથી સમગ્ર પ્રક્રિયાઓ ચલાવવામાં આવી રહી છે.

જામનગરની સેવાભાવી સંસ્‍થા દ્વારા પ્રદર્શન મેદાનની જાળવણી તેમ જ એક વર્ષ માટેની ખાસ સંભાળની પણ જવાબદારી સ્‍વીકારવામાં આવી રહી છે, અને લોકો વધુને વધુ પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં રમત ગમત અને સંસ્‍કૃતિ પ્રવૃત્તિ સહિતનો આનંદ મેળવી શકે, તેમ જ પ્રદર્શન ગ્રાઉન્‍ડ ઝુપડા મુકત બને, તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

તેમાં જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્‍ટેટ અધિકારી નીતિન દીક્ષિત, તથા અન્‍ય અધિકારીઓ પણ સહકાર આપી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્‍યક્ષ ડો. વિમલ કગથરા તથા અન્‍ય હોદ્દેદારો દ્વારા પણ જામનગર શહેરની જનતાને વધુને વધુ સુવિધા યુક્‍ત પ્રદર્શન મેદાન ની જગ્‍યા ઉપયોગી બને, તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. અને સમગ્ર આયોજન હાથ ધરાયું છે.

(1:43 pm IST)