Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પોરબંદરમાં સાંજે ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન : આવતીકાલે ગાંધી જયંતીએ પૂ. ગાંધીજીને પુષ્પાંજલિ બાદ સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપશે

મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે સ્વચ્છ ભારત મીશનના સફાઇ અભિયાનને લીલીઝંડી, પાલિકાની તથા ચિલ્ડ્રન હોમના નવનિર્મિત બિલ્ડીંગોના લોકાર્પણ કરશે : ભૂપેન્દ્રભાઇના હસ્તે પ્રારંભ થનાર ચરખા અને સેલ્ફી પોઇન્ટ આકર્ષણ જમાવશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ : ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ આવતીકાલે ગાંધી જયંતીએ સવારે કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી કરશે અને ત્યારપછી કીર્તિ મંદિરમાં યોજાનાર સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહેશે.

ગાંધી જયંતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સવારે સ્વચ્છ ભારત મીશન હેઠળના સફાઇ અભિયાનને લીલીઝંડી આપી આગળ વધારશે. નગરપાલિકા તથા જરૂરીયાતમંદો માટે બનાવાયેલા ચિલ્ડ્રન હોમના નવનિર્મિત બિલ્ડીંગોના વારાફરતી લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ ગાંધી જયંતીએ ૧૫૩ બાળકોની રેલીનું કીર્તિ મંદિરથી પ્રસ્થાન કરાવશે. ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાતે દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે તે ધ્યાને રાખીને ફાયબરના ગાંધીજીની પ્રતિકૃતિ સાથે તૈયાર કરેલ પ્રવાસીઓ માટેના સેલ્ફી પોઇન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે.

(3:04 pm IST)