Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રિલાયન્સ ફાઉન્ડેશનની 230 બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ-ઉદઘાટન ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

જામનગર :કુલ 230 બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં
ઇ-ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મંત્રીઓ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમજનક રીતે એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં 400 બેડની કોવિડ કેર સુવિધા જામનગરમાં ઊભી કર્યા બાદ, આ નવી અત્યાધુનિક પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલ રિલાયન્સ ફાઉન્ડેશનની વધુ એક મહત્વપૂર્ણ સિધ્ધિ છે.    
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ, સમગ્ર દેશમાં રસીકરણની ઝુંબેશને કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવામાં મદદ મળશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન આ રોગચાળા સામેની દેશની લડતમાં અગ્રેસર રહ્યું છે અને તેના તમામ કર્મચારીઓ, તેમના પરિવારો અને સમગ્ર સમાજને મદદ કરવા અને તેમને આ ઝડપથી ફેલાતા રોગચાળા સામે રક્ષણ આપવા માટે અનેક પ્રવૃત્તિઓ અને પહેલો હાથ ધરી છે. કોવિડ અસરગ્રસ્તો માટે નિઃશુલ્ક હોસ્પિટલ સ્થાપવા ઉપરાંત, લગભગ સાત કરોડ જરૂરીયાતમંદોને ભોજન સેવા પૂરી પાડવામાં આવી તથા આ રોગચાળાનો સામનો કરવા માટે સામૂહિક રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું - #CoronaHaaregaIndiaJeetega.
જામનગરમાં આવેલી 230 બેડની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલમાં 30 ચિલ્ડ્રન આઇ.સી.યુ, 10 નિયો-નેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાનાં 22 મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને 10 અત્યાધુનિક વેન્ટીલેટરનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયાર છે. અહીં દરેક બેડને મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો નિર્બાધ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી વખતે આધુનિક કોવિડ કેર ફેસિલિટીઓ જેવી કે પી.આઇ.સી.યુ. માટે બાય પેપ મશીન, એચ.એફ.એન.સી. યુનિટ, સી-પેપ મશીન ડિવાઇસ, તથા એન.આઇ.સી.યુ. વિગેરેની સ્પેસિફિક જરૂરિયાતનાં સાધનોની વ્યવસ્થાઓ રાખવામાં આવેલી છે. અહીં ઇ.સી.જી. મશીનો, ડીફ્રિબ્રિલેટર મશીનો, ચિલ્ડ્રન વેઇંગ મશીનો, નિયો નેટલ પલ્સ ઓક્સિમીટર, ઓટો સ્કોપ, ઓપ્થેલ્મો સ્કોપ, ઇન્ફ્રારેડ થર્મોમીટર, વેઇન ફાઇન્ડર્સ, લોરિંગો સ્કોપ, અમ્બુ-બેગ વિગેરે આધુનિક મેડીકલ સાધોનો પણ અહીં પૂરા પાડવામાં આવેલા છે. વિશેષમાં, દર્દીઓના બેડ સુધી લઇ જઇ શકાય તેવું વાયરલેસ ટેકનોલોજીથી સુસજ્જ, ખૂબ જ હળવું વજન ધરાવતું (1.8 કિલોગ્રામ), પોર્ટેબલ એક્સ-રે યુનિટ સાથેનું સ્ટેટ ઓફ આર્ટ એક્સ-રે મશીન પણ કોઇપણ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. આ યુનિટ ખૂબ જ પર્યાવરણ સાનુકૂળ (લઘુત્તમ રેડિએશન અને વીજ વપરાશ રહિત) છે.
હોસ્પિટલમાં દરેક વોર્ડમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ જળવાઈ રહે તેની તકેદારી રાખવામાં આવી છે. બાળદર્દીઓ માટેની આ હોસ્પિટલમાં તેમની માતાઓ સાથે રહી શકે તે માટેની સગવડો પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
રિલાયન્સ ફાઉન્ડેશન વિષે:
રિલાયન્સ ફાઉન્ડેશન (આર.એફ.) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સખાવતી સંસ્થા છે, જેનો હેતુ રાષ્ટ્રના વિકાસ પથમાં રહેલા પડકારોને સ્થાયી અને નવીન ઉપાયોથી પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. શ્રીમતી નીતા અંબાણીના અધ્યક્ષ પદ હેઠળ ચાલતી રિલાયન્સ ફાઉન્ડેશન પ્રારંભથી જ છેવાડાના સમુદાયો માટે જીવનની સમગ્રલક્ષી સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પરિવર્તનલક્ષી ફેરફારો પૂરા પાડવા અથાગ કામગીરી કરી રહી છે. ભારતની સૌથી વિશાળ સામાજિક પહેલોમાં સ્થાન ધરાવતી આર.એફ. ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમત ગમત, આપત્તિ નિવારણ, શહેરી નવીનીકરણ અને કલા સંસ્કૃતિ તેમજ વારસાના ક્ષેત્રોમાં રાષ્ટ્ર વિકાસ પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.  રિલાયન્સ ફાઉન્ડેશને 44,700 ગામો અને કેટલાક શહેરી ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં 51 મિલિયનથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો છે.

(7:42 pm IST)