Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબી ચુંટણી ઉમેદવારીપત્રો રજુ કરતી વેળાએ ચારથી વધુ સમર્થકોને પ્રવેશ પર પ્રતિબંધ.

ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે ઉમેદવાર ચારથી વધુ સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરી શકશે નહીં.

 મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી ૨૦૨૧ અન્વયે તા.૧૯/૧૨/૨૧ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતી ઉભી ન થાય તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે કોઇપણ સૂચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનાર કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનિશ ચૂંટણી અધિકારની કચેરીમાં પ્રવેશ ન કરવા જણાવેલ છે.
ફોજદારી કાર્યવાહી. અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવેલ આ હુકમમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં સૂચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનાર કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં પ્રવેશ કરી શકશે નહી.
આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણ  થી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી. આ સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ચૂંટાયા અંગેનું  પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોના ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.

(11:49 am IST)