Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જુનાગઢમાં વ્યાજખોર વિરૂધ્ધ ગુન્હાઓ નોંધીને પાસા હેઠળ કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૧ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી  મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા  વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.

  જૂનાગઢ શહેરના નોબલ સ્કૂલની બાજુમાં, રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી, પોતાનું ગુજરાન ચલાવતા એક યુવાન દ્વારા પોતાની જરૂરીયાતના કારણે તેમજ કોરોના સમયમાં નોકરી ના હોઈ, પત્નીની સારવાર કરાવવા માટે બે  લોકો પાસેથી થોડા થોડા રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજ ચૂકવવાની લ્હાય માં વ્યાજની રકમ વધતી જતી હોય, બે અઢી વર્ષ સુધી વ્યાજના દર મહિને રૂપિયા ચૂકવવા છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. અરજદાર દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની પત્ની બીમાર હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર  વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ કોઈ રસ્તો ના હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું.

  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, આર.એસ.પટેલ તથા સ્ટાફ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યાજખોરને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. બને વ્યાજખોરો દ્વારા અરજદારને તેની પાસેથી લીધેલા ચેક અને લખાણના કાગળો તરત જ  પરત પણ આપી ગયેલ હતો. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને પોતાના ચેક અને લખાણ પણ પરત અપાવતા, ફોન કરીને જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. ચેક અને લખાણ પણ પરત મળતા, ખુશ થઈને જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની લાગણી વ્યકત કરી હતી.

(12:38 pm IST)