Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયાની બંને પુત્રીઓએ કાંધ આપી

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ),તા.૩૦ :   જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ અને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાન વેલજીભાઈ સરવૈયા (ઉ.વ.૬૦)નું ગઇરાત્રે તેમના ઘરે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું હતું.

  જેતપુર ખાતે ગઇરાત્રે જીમખાના મેદાનમાં યોજાયેલી ભાજપની ચૂંટણી સભામાં સંબોધન કર્યા બાદ વીરપુર (જલારામ) ખાતે ઘરે ગયેલા તાલુકા ભાજપ  પ્રમુખ વેલજીભાઇ સરવૈયા વહેલી સવારે ન્‍હાવા માટે ગયેલ ત્‍યારે ત્‍યાં બાથરૂમમાં જ તેઓને છાતીમાં દુઃખાવો ઉપડેલ અને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું બાથરૂમમાં બેશુદ્ધ થઈ ગયેલ જેથી તેઓની પરીવારજનો તેઓને તરત જ હોસ્‍પીટલ લઈ જતા ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતાં. તાલુકા ભાજપ  પ્રમુખના મોતના સમાચાર ચારે બાજુ ફેલાઈ જતા ભાજપમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું. ભાજપના ઉમેદવાર જયેશભાઇ રાદડિયા સહિતના અગ્રણીઓ વીરપુર (જલારામ) દોડી ગયા હતાં. આજે જેતપુર ખાતે ભાજપ દ્વારા યોજાયેલો રોડ શો રદ કરવામાં આવ્‍યો છે. વેલજીભાઇ બે દીકરીઓના પિતા હતાં બન્ને દીકરીના લગ્ન થઇ ગયા છે. આ બંને દીકરીઓ સ્‍મશાન યાત્રામાં પિતા વેલજીભાઈને કાંધ આપીને તેઓની અંતિમવિધિ કરી હતી. સ્‍મશાનયાત્રામાં જયેશભાઇ પણ જોડાયા હતાં.

 વેલજીભાઈ પછાત જાતિ વિકાસ નિગમ અને નશાબંધી આબકારી વિભાગના ડાયરેક્‍ટર રહી ચૂકયા છે. ગઇકાલે રાત્રે તેમણે જેતપુર જીમખાના મેંદાન ખાતે સંબોધેલી ચૂંટણી સભા તેમનું આખરી સંભારણું બની ગઇ છે. વેલજીભાઈના આકસ્‍મિક મોતથી વીરપુરની બઝારો આજે સ્‍વયંભૂ બંધ રહી વેપારીઓએ તેઓને શ્રદ્ધાંજલી આપી હતી.

(1:40 pm IST)