Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી: પડતર પ્રશ્નો મુદ્દે તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા, જિલ્લા VEC મંડળે પણ સમર્થન આપ્યું

મોરબી : રાજ્યના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને આજથી અચોક્કસ મુદત સુધી રાજ્યવ્યાપી હડતાળ પાડવાનું રણશિંગું ફૂંકાયું છે ત્યારે આ હડતાળમાં મોરબી જિલ્લાના તલાટીઓ પણ જોડાયા છે. જ્યાં હાલ આ હડતાળમાં તેમને મોરબી જિલ્લા VEC મંડળનું પણ સમર્થન મળ્યું છે. આ અંગે  મોરબી જિલ્લા VEC મંડળના પ્રમુખ બિપિનભાઈ ઘોડાસરાએ સમર્થન આપતો પત્ર લખી  મોરબી જિલ્લાના તલાટીઓને ટેકો પૂરો પાડ્યો હતો.

રાજ્યમાં હાલ અંદાજ દસ હજારથી પણ વધુ તલાટીઓ કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષોથી તાલટીઓની વિવિધ માગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ દાખવવામાં આવી રહી નથી. 2018માં જ્યારે તલાટીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી ત્યારે પ્રશ્નો ઉકેલાઇ જશે તેવી ખાતરી મળતા હડતાળ સમેટી લેવાઇ હતી, ત્યાર બાદ 2021માં હડતાળ પાડી ત્યારે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિમણૂક થઇ હતી, ત્યારે તે વખતે પણ સરકારે પ્રશ્નો ઉકેલાઇ જશે તેવું કહેતા હડતાળ સમેટી લેવામાં આવી હતી, દરમિયાન હજુ પણ વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાયા ન હોઇ, જેથી આજથી દસ હજારથી વધુ તલાટીઓ દ્વારા રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં ઉતર્યા છે.
તલાટીઓની માગણી
– ફિક્સ પગારના તલાટીની નોકરી સળંગ ગણવી.
– 1 જાન્યુ. 2016 બાદ મળવાપાત્ર પ્રથમ-દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા મંજૂર કરવી.
– રેવન્યૂ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા અથવા તો તેમના જોબ ચાર્ટ અલગ કરવા.

(12:57 am IST)