Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજસમઢીયાળા પાસે ટુવ્હીલર સ્લીપ થતાં ખારચીયાના નરસીભાઇ પટેલને ઇજાઃ ૬ વર્ષની દિકરી ભક્તિનું મોત

માંડાડુંગર પાસે રહેતાં બહેનના ઘરેથી ખારચીયા જતી વખતે બનાવ : એકની એક લાડવાયીના મોતથી તહેવારના દિવસોમાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧:  રાજકોટ-ભાવનગર હાઇવે પર રાજસમઢીયાળા નજીક ટુવ્હીલર સ્લીપ થઇ જતાં ચાલક સરધારના ખારચીયાના પટેલ પિતા-પુત્રી ફંગોળાઇ જતાં પિતાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્યારે ૬ વર્ષની લાડકી દિકરીનો ભોગ લેવાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ ખારચીયા રહેતા અને હીરા ઘસવાની મજૂરી કરતાં નરસીભાઇ ગોરધનભાઇ પરસાણા (પટેલ) ગઇકાલે પ્લેઝર ટુવ્હીલરમાં પોતાની દિકરી ભક્તિ (ઉં.વ.૬)ને બેસાડી રાજકોટ માંડા ડુંગર પાસે રહેતાં પોતાના બહેનના ઘરે આટો મારવા આવ્યા હતાં. રાત્રે નવેક વાગ્યે બંને પિતા-પુત્ર પરત ખારચીયા જઇ રહ્યા હતાં ત્યારે રાજસમઢીયાળા પાસે અચાનક ટુવ્હીલર સ્લીપ થઇ જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં દિકરી ભક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મોત નિપજતાં ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
ભક્તિ માતા-પિતાની એકની એક લાડકી દિકરી હતી. લાડકીના મોતથી સ્વજનોની તહેવારની ખુશી માતમમાં પરિણમી હતી.

 

(11:05 am IST)