Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

તળાજા પંથકમાં ત્રણ અકસ્માતમાં સાખડાસર-૨ અને ત્રાપજના બે યુવકના મોત : ભાવનગરના બે યુવાનો ઘાયલ

ભાવનગર તા.૨ : દિવાળીના નવા દિવસોના પ્રારંભેજભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં યમરાજા એ ડેરાતંબુ નાખ્યા છે. ગત રાત્રીથી આજ બપોર સુધીમાં અલગ અલગ ત્રણ સ્થળો પર વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજયા છે. ભાવનગરના બે યુવાનો ઘાયલ થયા છે.

તળાજા પો.સ્ટેના મહાવીરભાઈ ડાંગર એ વેળાવદર નજીક થયેલા અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રાપજ ગામે રહેતા સોહિલ ગફારભાઈ ચોકીયા પોતાનું બુલેટ મો.સા જીજે ૦૪-ડિકે ૦૦૧૧લઈ મો.સા પાછળ નજમાબેન અને શિફાબેનને બેસાડી ત્રાપજ રાત્રે જતા હતા. એ સમયે ટ્રેકટર નં.જીજે ૦ એચ-૫૪૯૦ના ચાલકે મો.સા સાથે ટ્રેકટર અથડાવતા ઇજાગ્રસ્તોને ભાવનગર સારવારમાં લઈ ગયેલા. જયાં સોહિલ ગફારભાઈ ચોકીયાનું અવસાન થયેલ.

બીજા બનાવમાં દિહોર રાજપરા રોડ પર સાખડાસર-૨ના યુવાન રાકેશભાઈ ભરસોટીયાનું વાહન અકસ્માતમાં નિધન થયેલ. પત્ની વાળુંકડ ગામના હોય તેમનું આણું ટુંક સમયમાં તેડવાનું હતું.

ત્રીજા બનાવમાં વેળાવદર નજીક વાહન પલ્ટી ખાઈ જતા ભાવનગરના અંકિત નરેશભાઈ ભટ્ટ, મહેશ લાભૂભાઈ મકવાણાને ઇજા થતાં તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(10:54 am IST)