Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મારી સામે કેમ કતરાઈ છે ?... વિંછીયાના જનડા ગામે મહિલા પર નિર્લજ્જ હુમલો કરી માર માર્યો

વિરનગરમાં હર્ષદભાઈ પટેલ પર લાકડીથી હુમલોઃ મનસુખ ભરવાડ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૨ :. વિંછીયાના જનડા ગામે મારી સામે કેમ કતરાઈ છે ?... તેમ કહી મહિલા પર બે શખ્સોએ નિર્લજ્જ હુમલો કરી માર માર્યો હતો.

વિંછીયાના જનડા ગામે રહેતા પ્રજાપતિ મહિલાને તે જ ગામના મુન્ના ડાયાભાઈ કીહલા તથા ડાયા કાનાભાઈ કીહલાએ 'તું મારી સામે કેમ કતરાઈ છે ?...' તેમ કહી મહિલાના વંડામાં પ્રવેશ કરી પછાડી દઈ નિર્લજ્જ હુમલો કર્યો હતો તેમજ કપાળ ઉપર લાકડી મારી લોહીયાળ ઈજા કરી ગાળો આપી હતી અને આ મહિલાને બચાવવા આવેલ સાહેદને પણ ઉકત બન્ને શખ્સોએ માર મારી ગાળો આપી હતી. આ અંગે ઉકત બન્ને શખ્સો સામે  ફરીયાદ થતા વિંછીયાના એએસઆઈ જેઠાભાઈ ટમાડીયાએ તપાસ હાથ ધરી છે.  બીજા બનાવમાં આટકોટના વિરનગર ગામે રહેતા હર્ષદભાઈ રમેશભાઈ બરવાડીયાને તે જ ગામના મનસુખભાઈ દેવાભાઈ ગડીયા (ભરવાડ)એ તમારે અહીં આવવું નહિ.. તેમ કહી લાકડીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઉકત ભરવાડ શખ્સ સામે ફરીયાદ થતા આટકોટના હેડ કોન્સ. ગોપાલભાઈ ધાધલે તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)