Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

શિયાળુ પાક અને ગોળના રાબડાને નુકશાનઃ ઠંડા પવન સાથે આકાશમાં ઘેરાયેલ વાદળો

રોપ-વે સેવા સવારથી રાબેતા મુજબઃ જુનાગઢમાં ર૬ મિનીટ પવન ફુંકાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢના અહેવાલ મુજબ જૂનાગઢમાં રાત્રે ૨૬ મિનીટના તોફાની પવનથી ૪ ઝાડ ધરાશયી થઈ ગયા હતા અને અંધારપટ પણ છવાઈ જતા લોકો ભયભીત થઈ ગયા હતા.

જૂનાગઢ શહેરમાં રાત્રીના ૮.૧૯ કલાકથી ઝંઝાવાત શરૂ થયો હતો. ૨૬ મીનીટ સુધી ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા શહેરમાં અંધાધુંધી ફેલાય ગઈ હતી.

તોફાની પવનને લઈ બહુમાળી બિલ્ડીંગોમાં રહેતા લોકો ભયમાં મુકાય ગયા હતા. તેમજ હાઈરાઈઝ ઈમારતોની અગાસી પરથી ડીસ એન્ટેના ઉડીને નીચે ખાબકયા હતા. આ સાથે સીટીમાં ૩ થી ૪ જેટલા વૃક્ષો તૂટી પડયા હતા. તેમજ ઝાડની ડાળીઓ ધરાશયી થઈ જતા વીજ પુરવઠાને અસર થઈ હતી.

ગત રાત્રીના તોફાની પવનને કારણે વીજ પુરવઠો ખોરવાય જતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાય ગયો હતો. જો કે પીજીવીસીએલ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુર્વવત કરાયો હતો.

શહેરમાં સરદારબાગ નજીક ઝાંસીની રાણીની પ્રતિમા પાસે એક ખાનગી હોસ્પીટલનુ વિશાળ બોર્ડ પવનને લઈને લટકી ગયુ હતુ. જેના કારણે ગાંધી ચોક સુધી ટ્રાફીકજામ થઈ ગયો હતો.

પરંતુ મળતા તંત્ર દ્વારા ક્રેઈન મોકલીને આ બોર્ડને રસ્તા પરથી દૂર કરીને ટ્રાફિકને પૂર્વવત કરાયો હતો.

મીની વાવાઝોડુ ફુંકાવાને લઈને જૂનાગઢમાં રાત્રીના એકત્ર થયેલા કચરો, ઝાડની ડાળીઓ વગેરેના નિકાલ માટે સવારથી કોર્પોરેશન તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન ગઈકાલે પવનના કારણે બંધ કરાયેલ ગિરનાર રોપ-વેની સેવા આજે સવારથી યથાવત કરવામાં આવી હોવાનું રિજીયોનલ મેનેજર દિપક કપલીએ જણાવ્યુ હતું. પરંતુ આજે સવારના પ્રવાસીઓની પાંખી હાજરી રહી હતી.

સોરઠમાં લઘુતમ

તાપમાનમાં ઘટાડો

સોરઠમાં સવારે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા આજે બર્ફીલુ વાતાવરણ રહ્યુ છે.

મંગળવારે અને બુધવારે કમોસમી વરસાદ થતા જૂનાગઢના તાપમાનમાં ઘટાડો થયો છે. આજે ગઈકાલની સરખામણીએ ૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટીને ૧૭.૮ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી પ્રસરી ગઈ હતી.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહેતા અને ૫.૨ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા બર્ફીલુ વાતાવરણ છવાય ગયુ છે.

વેરાવળ તાલુકામાં પાકોને જોરદાર નુકસાન

પ્રભાસપાટણઃ વેરાવળ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ઝરમર કમોસમી વરસાદ વરસતા ખેતીમાં ઉભેલા પાકોને નુકસાન થયેલ છે. અત્યારે ખેતરોમાં ઘઉં, ચણા, મરચીનો રોપ, ધાણા, ભાજીઓ અને અન્ય વાવેતરને આ કમોસમી વરસાદને કારણે નુકશાની જવાની છે. વરસાદની સાથે ખૂબજ ઠંડો પવન પણ છે.

વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદની આગાહીને પગલે યાર્ડમાં માલ ગોડાઉન અને મોટા શેડમાં રાખી દેવામાં આવેલ હોવાથી નુકશાન થયેલ નથી.

ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી રહેલ છે. તે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મગફળી ખરીદવાનું બંધ રાખવામાં આવેલ અને ટેકાના ભાવે ખરીદી કરતા અધિકારીએ જણાવેલ કે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મગફળી ગોડાઉનમાં ભરવામાં આવેલ છે જેથી મગફળીનો ભગાડ થયેલ નથી અને વરસાદ બંધ થયા બાદ ફરીથી ટેકા ભાવે મગફળી ખરીદવામાં આવશે.

(3:54 pm IST)