Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કચ્છમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે ના મોત : આઠ ગંભીર

હિંમતનગરથી માતાના મઢ આવતી બસને પરોઢીયે રવાપર નજીક નડયો અકસ્માત : બંને વાહનોના ચાલકનું મોત : ઇજાગ્રસ્તોને સારવાર માટે નખત્રાણા ખસેડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : કચ્છમાં આજે વહેલી પરોઢિયે બનેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં બે ના મોત નીપજયા હતા જયારે આઠ જણને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ સારવાર હેઠળ છે. અકસ્માતનો આ બનાવ વહેલી પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ બન્યો હતો.

હિંમતનગરથી માતાના મઢ આવી રહેલી એસટી બસ અને ટ્રક વચ્ચે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નખત્રાણા નજીક રતડીયા ફાટક પાસે એસટી બસ અને સામેથી આવતી ટ્રક બન્ને સામસામે અથડાતાં આ ગમકવાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બન્ને વાહન ચાલકોના અરેરાટીભર્યા મોત નીપજયા હતા. જયારે એસટી બસમાં સવાર પ્રવાસીઓ પૈકી આઠને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે નખત્રાણા ખસેડાયા છે. જે પૈકી વધુ ગંભીર ઈજાઓ પામેલાઓને ભુજ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

દરમ્યાન અકસ્માતમાં એસટી બસના ચાલક જશવંતસિંહ કેસરીસિંહ ઝાલા (ઉ.૩૭)નું ગંભીર મોત નિપજયું છે. અકસ્માતના આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)