Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સોમવારે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં નૂતન ભોજનાલયની શિલાન્યાસવિધી

વાંકાનેર, તા. ૩ :. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી (અથાણાવાળા મંડળ)ની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૫ને સોમવારે અતિ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને એક સાથે ૮ થી ૧૦ હજાર ભકતો ભોજનપ્રસાદ લઈ શકે તેવા નૂતન ભોજનાલયનો ભવ્યાતિભવ્ય શીલાન્યાસ વિધિનો કાર્યક્રમ સવારે ૯ થી ૧૨ દરમિયાન રાખવામાં આવેલ છે.

જેમા પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી અને મહાન તપસ્વી નાના-મોટા અનેક મંદિરોના સંતો તથા દાદાની સેવામાં હંમેશા તત્પર રહેનાર હરિભકત યજમાનો ઉપસ્થિત રહેશે અને મહાપૂજા તથા આશિર્વાદ - શુભેચ્છાઓ સાથે દાદાનો રાજીપો મેળવી નૂતન ભોજનાલય માટેની શિલાન્યાસ વિધિ કરશે.

શ્રધ્ધા કા દુસરા નામ શ્રી સાળંગપુર ધામ - શિર્ષકને સાર્થક કરતા આવા પાવનધામના આવા સુંદર પ્રસંગમાં સૌ ભકતજનો દર્શનનો લાભ લે અને અન્નદાન શ્રેષ્ઠદાનના શિર્ષક તળે આ નૂતન ભોજનાલયના કામમાં તન, મન, ધનથી યથાયોગ્ય સેવા કરી દાદાનો રાજીપો મેળવે એવી અપીલ કરાઈ છે.

(3:16 pm IST)