Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજયનો સર્વાગી વિકાસ એ જ સરકારનો મૂળ મંત્રઃ રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાત મોખરેઃ સૌરભભાઇ પટેલ

ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સામાન્ય સભા યોજાઈઃ ચેમ્બરના સામયિકનું વિમોચન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,  તા.૩: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉર્જા મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી.

આ સભામાં મંત્રીશ્રીએ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી આગળ વધવા અને નવા ઉદ્યોગ અને નવા ઉદ્યોગોની એન્ત્રપ્રિન્યોરશીપ માટેની ધગશ ધરાવતા લોકોને આગળ વધવા આહવાન કર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજયમાં પાંચ વર્ષ દરમિયાન વિકાસના અનેક કામો થયા છે. જન પ્રતિનિધિઓ પ્રજાની સાથે રહી કોરોના  અને તાઉતે જેવા અનેક પડકારોનો સામનો કર્યો છે. રાજયમાં ખેડૂતો-મહિલાઓ દરેક વર્ગનો વિકાસ થયો છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા હાલ ૫૦૦૦ ગામને અને ૨૦૨૨ સુધીમાં બાકી રહેલા ૧૩ હજાર ગામોના ખેડૂતોને પણ દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે.

જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો બહોળો વિકાસ થયો છે ત્યારે સરકાર દ્વારા જામનગરના નાના ઉદ્યોગકારોને પણ આગળ આવવા માટે લાભ થાય તે વિશે ધ્યાન આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

આ તકે, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ અને પાસ પ્રમુખશ્રીઓએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું તેમજ કોરોના કાળમાં પણ જામનગર ખાતેના ઉદ્યોગોને રાજય સરકારનો સતત સહયોગ પ્રાપ્ત થયો તે બદલ પ્રભારી મંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે,  જામનગર ચેમ્બર ઓફ કોમર્સ પશ્યિમ ભારતની સૌથી જૂની ચેમ્બર ઓફ કોમર્સ છે. ભારતમાંથી નિકાસ થતા વિશ્વના વપરાશના ૨.૯ ટકા બ્રાસમાં ૨.૧૬ ટકા જેટલું બ્રાસ એકમાત્ર જામનગર નિકાસ કરે છે. ત્યારે જામનગરના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોનો પણ વિકાસ થાય તે માટે નવી જી.,આઇ.ડી.સીઓ, નવનિર્મિત ઉદ્યોગોને અવિરત વિજ પુરવઠા માટેની ખાત્રી મંત્રીશ્રીએ આપી હતી.

આ સભામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ, માનદમંત્રીશ્રી અક્ષત વ્યાસ, કૌશલ શેઠ, તુષારભાઈ, સુધીરભાઈ તેમજ પાસ પ્રેસિડેન્ટશ્રીઓ અને ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)