Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોરોનામાં અવસાન પામેલ લલિત કલાના કલાકારોના પરિજનોને સહાય આપવાની વિચારણા

તા.૧૬ ઓગસ્ટ પહેલા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતે અરજી કરવી

મોરબી :  ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જે કલાકારોને નૃત્ય, નાટ્ય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય, ગ્રાફિક્સ, જેવી લલિત કલાઓ પૈકી એક કે વધુ કલાના ક્ષેત્રમાં જેનું ૧૦ વર્ષનું નોંધપાત્ર યોગદાન આપતા હોય અને જેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું હોય તેવા કલાકારો માટે રાજય સરકાર સહાય આપવાની વિચારણા કરી રહી છે. આવા કલાકારોના પરિવારની વાર્ષિક આવક મર્યાદા બે લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું સરકાર દ્વારા વિચારણામાં છે.
 આવા કલાકારોએ સાદા કાગળમાં નામ, સરનામું, કોન્ટેક નંબર સાથે અરજી કરવાની રહેશે. તેમજ કલાકાર તરીકેના આધાર-પુરાવા, આવકનો દાખલો તેમજ મરણનો દાખલો આપવાનો રહેશે. આ અરજી તા.૧૬/૦૮/૨૦૨૧ સુધી જે તે જિલ્લાની જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીમાં રૂમ નં. ૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

 

(11:15 pm IST)