Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જસદણના આલણસાગર તળાવ નિર્માણની ઘટતી રકમ રાજવી આલા ખાચરે રાણીના દાગીના વેચી આપી હતી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૩ : આલણસાગર તળાવનું બાંધકામ જસદણ દરબાર આલા ખાચર પહેલાએ શાસનકાળ ઈ.સ.૧૮૫૧ થી ૧૯૦૪ એ કરાવ્યું હતું. એ વખતે વિક્રમ સવંત ૧૮૫૬માં પડેલ અતિ કપરા છપ્પનિયા દુષ્કાળમાંથી પોતાના જસદણ રાજયની પ્રજાને ભૂખમરાથી બચાવવા આ તળાવ ખોદવામાં આવ્યું હતું. આ તળાવનું ઉદઘાટન અંગ્રેજ પોલીટીકલ એજન્ટ કર્નલ હંટરના હસ્તે તા.૧૧-૧૧-૧૯૦૦નાં રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે તળાવના બાંધકામમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા વાળા માણસોને ઈનામો આપવામાં આવ્યા હતા.

આ ભયંકર દુષ્કાળ વખતે રાજયમાં કાઈ ધાન્ય પાકયુ ન હતુ. લોકોમાં ખાવાના સાસા પડવા લાગ્યા હતા. તે ભૂખમરાથી પોતાની પ્રજાને બચાવવા ઘણા રાહતકામો શરૂ કરવામાં આવ્યા હતા. આ રાહત કામોમાં કામ કરનાર પ્રજાજનોને મજુરી રૂપે અનાજ અથવા રોકડ આપવામાં આવતી હતી. આ રાહતકામ ઉપર માંદા લોકોના ઈલાજ માટે ડોકટરની વ્યવસ્થા હતી અને ડોકટરની સલાહ મુજબનો ખોરાક માંદા માણસોને રાજયના કોઠારમાંથી આપવામાં આવતો હતો. નાના છોકરાવાળી સ્ત્રીઓ મજૂરીએ જાય ત્યારે તેના બાળકોને સાચવવા અને રમાડવા માટે સ્ત્રીઓ રાખવામાં આવતી હતી.

આ છપ્પનિયા દુષ્કાળ વખતે જસદણ રાજયના બાખલવડ, જનડા, દલડી, રાજાવડલા, હિંગોળગઢ, રેવાણીયા અને પાનેલીયા ગામે તળાવ બંધાવ્યા હતા. ૨૨૭ નવા કુવા ખોદાવ્યા અને જુના કુવા ઉકેરાવ્યા હતા. એ વખતે આલણસાગર તળાવ બનાવવાનો કુલ ખર્ચ રૂ.૧,૫૦,૦૦૦ ં એવો થયેલ અને આ ખર્ચ સામે રાજયની કુલ આવક રૂ.૧,૦૦,૦૦૦ હતી. આ ખર્ચની રકમ ભરપાઈ કરવા માટે દ.આલાખાચર અને રાણીએ પોતાના અંગત વપરાશના સોના, ચાંદી અને રત્ન વેચી કરી હતી.

(11:38 am IST)