Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાને આપઘાત કરી લેતા ખળભળાટ

પ્રેમ પ્રકરણના મામલામાં વાળંદ યુવાનને ધ્રોલ પૂછપરછ માટે બોલાવાયો હતો : વાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો: યુવાને કોઈના દબાણથી આપઘાત કર્યો કે કેમ? પોલીસ તપાસનો ધમધમાટ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાને આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે.

પ્રેમ પ્રકરણના મામલામાં વાળંદ યુવાન રાજન નગીનભાઈ સુરાણી(ઉ.વ.23, રહે. રાજકોટ)ને ધ્રોલ પોલીસે આજે બપોરે પૂછપરછ માટે બોલાવ્યો હતો યુવાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યાં જઈ ઢળી પડતા પીએસઆઈ એમ.એન. જાડેજા સહિતના સ્ટાફે યુવાનને ધ્રોલ હોસ્પિટલ બાદ જામનગર સિવિલમાં ખસેડતા તબીબીઓ તપાસી મૃત જાહેર કર્યો છે.
ધ્રોલમાં કોઈ યુવતી સાથે આ યુવાનની આંખ મળી હોય, યુવતીના ઘરના સભ્યોને જાણ થતાં ધ્રોલ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો અને રાજન આજે બપોરે બાદ ધ્રોલ પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યાં પહોંચ્યો તે સાથે જ પાંચેક મિનિટમાં તે ઢળી પડ્યો હતો. જેથી હાજર પીએસઆઈ સહિતના સ્ટાફે તેને સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ બાદ જામનગર ખસેડતા સારવાર મળે તે પહેલાં જ રાજનનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી છે. જેથી રાજકોટથી પરિવાર જામનગર જવા રવાનો થયો છે.
યુવાને કોઈના દબાણથી આપઘાત કર્યો કે કેમ? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એવી વિગત પણ મળી છે કે યુવતી જામનગરની છે અને તેના કોઈ સગાના ઘરે આવી હોય ત્યારે પરિવારજનોને જાણ થતાં પોલીસમાં મામલો પહોંચ્યો હતો. જોકે સમગ્ર પ્રકરણ અંગે પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.

(8:12 pm IST)