Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગીરનાર પર્વત પર પ્રાથમિક સુવિધા ઉભી કરવા મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

ગિરનાર પર્વત ઉપર કોઈપણ સુવિધાઓ જ નથી ઉપરથી ગંદકી અને દબાણની ભરમાર

જુનાગઢને પ્રવાસન ક્ષેત્રે વધુ વેગ મળે અને દૂર દૂરથી લાખો યાત્રિકો ગિરનાર પર્વત ઉપર આવે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. પરંતુ ગિરનાર પર્વત ઉપર કોઈપણ સુવિધાઓ જ નથી ઉપરથી ગંદકી અને દબાણની ભરમાર છે. યાત્રાળુઓ એટલાં પરેશાન છે કે આ મુદ્દે હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી કરવી પડી છે.

જેમાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો અહીં શિશ ઝુકાવવા આવે છે. પરંતુ અહીંના દ્રશ્યો જોઈને તમને અફસોસ સાથે કહેવું પડે કે આ આસ્થાનું કેન્દ્ર ગંદકીનો ઢગ બની ગયું છે. અંબાજી મંદિર પાસે જે રીતે ગંદકીના ઢગ ખડકાયા છે. જે જોતાં કોઈપણ શ્રધ્ધાળુને દુખ થયા વગર ન રહે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો બાદ અહીં રોપ-વેની સેવા તો શરૂ કરવામાં આવી પરંતુ મહિલાઓ અને સિનિયર સિટિઝનો માટે પાણી, શૌચાલય જેવી જરૂરી સુવિધાઓ પણ નથી.

આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર સ્થળે ન માત્ર ગુજરાત પણ અન્ય રાજ્યમાંથી પણ ભક્તો આવે છે.. જે આ સ્થળની ખોટી છાપ લઈને જાય છે. એક તરફ રાજ્ય સરકાર પ્રવાસન ક્ષેત્ર તરીકે મોટી મોટી જાહેરાતો આપે છે બીજી તરફ ગિરનાર જેવા પવિત્ર અને પ્રસિદ્ધ સ્થળે સુવિધાઓનો અભાવ અને ગંદકી સ્થાનિક તંત્ર અને સરકારની પણ છબીને ખરડી રહી છે.

આ જ કારણ છે કે તાજેતરમાં આ અંગે હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં ઠેર ઠેર ગંદકી અને પ્લાસ્ટિકની બેગ અને બોટલ્સને કારણે ફેલાતા પ્રદુષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ તરફ જૂનાગઢના ધારાસભ્યએ પણ આ માટે વન વિભાગ અને સ્થાનિક તંત્રને જવાબદાર ગણાવ્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક ધારાસભ્ય આ અંગેની રજૂઆત મુખ્યપ્રધાનને કરવાની વાત કરી રહ્યા છે.

(11:50 pm IST)