News of Friday, 5th February 2021
(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા. ૫: સ્થાનીક કેશોદ શહેરમાં ભારે વિવાદ રદ થયેલ ઓવરબ્રીજના સ્થાને અન્ડર બ્રીજ બનાવવાની શરૂ થયેલ ગતિવિધીથી વેપારીઓમાં ફફડાટ સાથે આ વિસ્તારના વેપારીઓ સહીતના લોકો સ્તબ્ધ થયેલ છે.
આ અંગે ગઇ કાલે ચાર ચોક વિસ્તારના વેપારીઓ એકત્રિત થઇ સંભવતઃ નિર્માણ પામનાર અન્ડર બ્રીજ અંગે પ્રચંડ વિરોધ કરેલ હતો અને જરૂરી ચર્ચા -વિચારણાના અંતે રેલ્વે બ્રીજ શહેરના અન્ય કોઇ પણ ભાગે બને તે માટે સૌએ સાથે મળી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી નિર્ણય લીધેલ છે.
અત્રે નોંધનીય છે કે શહેરની મધ્યે આવેલ ફાટકના સ્થળેથી અન્ડર બ્રીજ બને તો ચાર ચોકથી માંગરોળ રોડ સુધીની વર્ષો જુના વેપારીઓના ધંધા રોજગાર ભાંગી પડે તેવો ભય પ્રવર્તેલ છે. ત્યારે આ અંગે આ વિસ્તારના વેપારીઓને વિશ્વાસમાં લીધા વિનાજ અન્ડર બ્રીજનું આયોજના (સર્વે) થઇ રહેલ હોવાનો કચવાટ શરૂ થયેલ છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આ સુચિત એવા વિવાદીત સ્થળ રોષની લાગણી જન્મેલ છે.
શહેરના મધ્ય ભાગેથી પસાર થતા રેલવે ફાટકના પ્રશ્નને ધ્યાને લઇ આજથી લગભગ સાતેક વર્ષે પહેલા શહેરની મુજબ બજારને વિંધીને ઓવર બ્રિજ બનાવવાનું અંદાજે રૂપિયા ૩૬ કરોડના ખર્ચે બનાવાનું આયોજન કરવામાં આવેલ. પરંતુ આ તોતિંગ ફલાય ઓવર બ્રિજના નિર્માણથી ચાર ચોકથી માંગરોળ રોડ પરથી મુખ્ય બજારના વેપારીઓના વેપાર ધંધા પર માઠી અસર પડવા સહીતના શહેરીજનોએ અનેક મુશ્કેલીઓ વેઠવી પડશે તેવી દહેશત જણાતા શહેરીજનો તરફથી બ્રિજના નિર્માણ અંગે પ્રચંડ વિરોધ સાથે ભારે વિવાદ સર્જાત જે તે સમયે નજીક આવતી ચૂંટણીને ધ્યાને લઇ ફલાઇ ઓવર બ્રીજનું આયોજન રદ કરી મામલો થાળે પાડેલ હતો.
દરમિયાન લગભગ સાત વર્ષ બાદ એ જ વિવાદીત સ્થળે અન્ડર બ્રીજના નિર્માણની હીલચાલ શરૂ કરતા આ વિસ્તારના ફરી એક વખત આ સંદર્ભે વિવાદના મધપુડો છંછેડવાના પ્રયાસો થતાં બદલે અન્ય સ્થળોએ પણ સામાન્ય ખર્ચે બ્રિજ બનાવી ફાટક પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.પરંતુ એ દિશામાં કયારેય સર્વે કરવામાં આવેલ નથી. ત્યારે સવાલએ ઉઠેલ છે કે, ફાટક પ્રશ્ન હલ કરવા અન્ય સ્થળોએ વિકલ્પ હોવા છતાં અને ભૂતકાળમાં આ અંગે ભારે વિવાદો સર્જાયા હોવા છતા વિવાદીત સ્થળે જ બ્રિજ માટે પુન :સર્વે શા માટે ?
જાણકારોના જણાવ્યા મુજબ ફાટક પ્રશ્ન હલ કરવાના અન્ય વિકલ્પોમાં ઉતાવળી નદી પુલ પાસેનો માર્ગ જો વ્યવસ્થિત રીતે વિકસાવામાં આવે તો સામાન્ય ખર્ચે આ પ્રશ્ન હલ થઇ શકે. આ ઉતાવળી પુલની નીચેથી હાલ પણ વાહનોની અવર જવર ચાલુ જ છે. એ જ રીતે શહેરની મધ્યેથી પસાર થતા રેલ્વે ફાટક પરથી ભારે વાહનો માટે પ્રતિબંધીત છે. ત્યારે ફાટકની નજીક એક નાનુ ગળનાળુ બનાવી નાખવામાં આવે તો ટુ વ્હીલ, થ્રી વ્હીલ, વાહનો ઉપરાંત મોટરકાર જેવા ફોર વ્હીલ વાહનો પણ અવન જવન કરી શકે. આ ઉપરાંત ઉતર તરફ આવેલ ફાટક પાસે અન્ડર બ્રીજ અથવા ઓવર બ્રિજ બનાવામાં આવે તો જૂનાગઢ રોડ પર નો પણ ડેવલોપ થઇ શકે.
લગભગ છેલ્લા એકાદ વર્ષથી અન્ડર બ્રીજ અંગે ચાર ચોકમાં આવેલ રેલ્વે ફાટકથી લઇ છે કે માંગરોળ રોડ સુધી સર્વે થઇ રહેલ હોવાનું કહેવાય છે. જોકે આ અંગે સંબંધીત તંત્ર વાહકોને કહેવુ છે કે, હજુ અન્ડર બ્રીજ અંગે માત્ર સર્વે થઇ રહેલ છે હજુ કોઇ પ્લાન અમલમાં આવેલ નથી.
આ સ્થિતી વચ્ચે જો ચાર ચોક-માંગરોળ રોડ પર અન્ડર બ્રીજ નિર્માણ પામે તો આ વિસ્તારના વેપારીઓ માટે આજીવીકા પ્રશ્ન ઉભો થનાર હોઇ બ્રિજના સર્વેની દિશા બદલવા વેપારીઓની માંગણી ઉકેલ છે.