Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

લોકભારતી સણોસરા ખાતે વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળાનો પ્રારંભ

ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક હતું,જેને વિજ્ઞાન સાગે ગાઢ નાતો હતો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.પ : લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી વિષય પર રાજય કક્ષાની કાર્યશાળાના પ્રારંભે જાણીતા ખગોળ વૈજ્ઞાનિક પંકજ જોષીએ વિવિધ પ્રસંગોના ઉલ્લેખ સાથે જણાવ્યું કે ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક હતું, જેને વિજ્ઞાન સાથે ગાઢ નાતો હતો.

જાણીતા ખગોળ વૈજ્ઞાનિક અને કતાર લેખક પંકજભાઈ જોષીએ વિજ્ઞાન અને અધ્યાત્મનું મુખ્ય ધ્યેય સત્યની શોધ હોય છે, જે ગાંધીજી સાથે સંકળાયેલ છે તેમ વાત કરી બ્રહ્માંડની વાત જ તત્વજ્ઞાનની વાત છે, વિજ્ઞાન એટલે બ્રહ્માંડને સમજવું તે છે તેમ જણાવ્યું. ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક હતું, જેને વિજ્ઞાન સાથે ગાઢ નાતો હતો. શ્રી જોષીએ રંજ વ્યકત કર્યો કે, ગાંધીને આપણે પુરા ઓળખી શકય નથી. તેને અનુસરવા અઘરા નથી. ગાંધીનું વિજ્ઞાન જ લોકવિજ્ઞાન હતું. તેઓએ ગાંધી જીવનના વિવિધ પ્રસંગ પાસાઓ રજૂ કરી લોક વિજ્ઞાન કેન્દ્રોની ભૂમિકા મહત્વની હોવાનું કહ્યું.

વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી વિષય પર રાજય કક્ષાની કાર્યશાળાના પ્રારંભે વિજ્ઞાનગીત બાદ દીપપ્રાગટ્ય સાથે લોકભારતીના વડા લોકવૈજ્ઞાનિક  અરૂણભાઈ દવેએ આ કાર્યશાળા અને લોકવિજ્ઞાન કેન્દ્રના ખરા હેતુ વિષે ભૂમિકા રજુ કરી અને કહ્યું કે સામાન્ય જન સુધી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે તે આપણો હેતુ છે. અબ્દુલ કલામજીના ઉલ્લેખ સાથે વિજ્ઞાન ગણિતને વિષય તરીકે નહીં પણ રોજિંદા જીવન તરીકે આવવા પર ભાર મુકયો.

આ કાર્યશાળા પ્રસંગે આયોજનને બિરદાવતો સંદેશો પરિષદના વડા શ્રી સાહુએ પાઠવી લોકભારતી અને લોકવિજ્ઞાન કેન્દ્રો માંટેનાં કાર્યક્રમને બિરદાવેલ અને શુભકામના પાઠવેલ.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી - ગુજકોસ્ટ, ગાંધીભારતી અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર સણોસરાના સંયુકત ઉપક્રમે ૩, ૪ અને ૫ ફેબ્રુઆરી દરમિયાનના આ કરાજયકક્ષાની કાર્યશાળાના આયોજનમાં મુખ્ય સંયોજક  વિશાલ ભાદાણી દ્વારા સંચાલન સાથે ગાંધીજીવન, સત્ય અને ભવિષ્ય બાબતે અહીંયા જોડાયેલા રાજયભરના લોકવિજ્ઞાનકેન્દ્રોનાં સંચાલકો સહાયકો સાથે સંવાદ થઈ રહ્યો છે.

આભારવિધિ લોકભારતીના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ દ્વારા કરવામાં આવી. આયોજનમાં ભાવનાબેન પાઠક સાથે લોકવિજ્ઞાન કેન્દ્ર પરિવાર રહેલ છે.

(11:25 am IST)