Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પોરબંદરમાં છ શખ્સોના હુમલામાં ઘાયલ થયેલા અશોકભાઇ કોટીયાનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો

યુવાનને જુના મનદુઃખમાં છરીના ઘા ઝીંકી કારની ઠોકરે ઉલાળી દેવાયેલઃ રાજકોટમાં દમ તોડ્યો

(પરેશ પારેખ-હેમેન્દ્રભાઇ પારેખ) પોરબંદર તા.૬: પોરબંદર ઝુરી બાગ વિસ્તારમાં રહેતાં અને માછીમારી કરી ગુજરાન ચલાવતાં અશોકભાઇ રણછોડભાઇ કોટીયા (ખારવા) (ઉ.વ.૪૫) પર નવ દિવસ પહેલા ૨૬/૫ના રાત્રીના સવા બારેક વાગ્યે પોરબંદર નવાપરા મચ્છી માર્કેટ પાસે કારમાં આવેલા છ શખ્સોએ છરીથી હુમલો કરી આડેધડ ઘા ઝીંકી તેમજ કારની ઠોકરે લઇ ઉલાળી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. તેનું શુક્રવારે ગઇકાલે મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર કિર્તીમંદિર પોલીસને જાણ કરી છે.  અગાઉ પોરબંદર પોલીસે આ બનાવમાં હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. અશોકભાઇને સંતાનમાં બે પુત્ર છે. તેના સગાના કહેવા મુજબ અશોકભાઇના સાળા નનુભાઇ નવાપરામાં રહે છે. અગાઉ હુમલાખોરો સાથે તેને દોઢેક મહિના પહેલા માથાકુટ થઇ હતી. આ બાબતે અશોકભાઇને પણ મનદુઃખ ચાલતું હતું.

૨૬મીએ રાતે અશોકભાઇ સાળાના ઘર પાસે હતાં ત્યારે જીતુ માવજી, મિલન, માવજી, ચંદ્રેશ, ભાવીન, તુષાર, કલ્પેશ સહિતના કાર લઇને આવ્યા હતાં અને સાળા સાથે માથાકુટ ચાલુ કરી હતી. અશોકભાઇ વચ્ચે પડતાં તેના પર છરીથી છએય શખ્સો તૂટી પડ્યા હતાં. વચ્ચે પડેલા હિમેનભાઇ અને રતનબેનને પણ ઇજા થઇ હતી.

લોકો ભેગા થઇ જતાં હુમલાખોર કાર લઇને ભાગ્યા હતાં. જતાં જતાં અશોકભાઇને કારની ઠોકરે ઉલાળી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. સારવાર દરમિયાન આજે બપોરે સિવિલ હોસ્પિટલમાં અશોકભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(1:05 pm IST)