Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કિસાન સન્માન દિવસ :ગુજરાત બન્યું એવું રાજ્ય કે જ્યાં ખેડૂતોના રાતના ઉજાગરા થયા બંધ અને ખેતી માટે હવે દિવસે મળી વીજળી

રાજ્યના વધુ ૧૫૦૧ ગામોના અંદાજે ૧.૧૦ લાખ ખેડૂતોને આજથી દિવસે વીજળી આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છથી કરાવ્યો શુભારંભ:કિસાન સન્માન દિવસ” નિમિત્તે રાજયભરમાં વિવિધ સ્થળોએ ૧૨૦ કાર્યક્રમો યોજાય:કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૩૯૧૫ ગામોના ૪.૪૭ લાખ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડાઈ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દેત્રોજ ખાતે અને અન્ય મંત્રીઓ વિવિધ જિલ્લામથકોએ સહભાગી થયા

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષની સફળ પૂર્ણતાના વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી તા. ૯મી ઑગસ્ટ દરમિયાન રાજયવ્યાપી આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા.૫મી ઑગસ્ટના રોજ “કિસાન સન્માન દિવસ” નિમિત્તે વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતોને સહાય થવા માટે રાજ્યભરમાં ૧૨૦ જેટલા કાર્યક્રમો યોજાયા હતા.

 

રાજ્ય સરકારના પ્રયાસોથી કૃષિ ક્ષેત્રે ખેડૂતોને વાર્ષિક રૂ.૨૫,૦૦૦ કરોડનો આર્થિક લાભ મળ્યો છે. “કિસાન સૂર્યોદય યોજના” હેઠળ રાજ્યના ૩૯૧૫ ગામોના ૪.૪૭ લાખ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડાઈ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે જેમાં રાજ્યના ૫૯ લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. ૭,૯૫૧ કરોડ જમા થઈ ચૂક્યા છે. રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા ઉપરાંત ખેતીમાં પણ કોઈ અગવડ ન અનુભવી પડે તે માટે સરકારે સિંચાઈ માટેની પણ સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરી છે. નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતમાં, સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પહોંચાડવા માટે યોજના અમલી બનાવી છે સાથોસાથ આદિવાસી વિસ્તારો માટે લિફ્ટ ઇરિગેશન યોજના અમલી બનાવાઈ છે. 
દિવસે ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરી ખેડૂતોને ખેતી માટે વીજળી આપવાના હેતુસર કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવવામાં આવી છે. છેલ્લા ૫ વર્ષમાં કુદરતી આપત્તિઓથી ખેડૂતોને નુકશાન સામે કુલ રૂ.૧૧,૪૧૯ કરોડની સહાયનું પેકેજ આપી રાજ્ય સરકાર ખેડૂતોની સતત પડખે ઉભી રહી છે. છેલ્લા ૫ વર્ષમાં રાસાયણિક ખાતર માટે રૂ. ૧૯,૦૦૦ કરોડની સહાય, છેલ્લા ૫ વર્ષમાં રૂ.૧૯,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની ૨૧ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૪૧ લાખ મેટ્રિક ટન કૃષિ પેદાશોની ખરીદી કરવામાં આવી છે. એક વિઝન સાથે શરૂ કરવામાં આવેલી ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩.૩૦ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૫૭૫ કરોડનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે, અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારી અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ ને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. 
 પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના કરેલા  કાર્યો અને યોજનાઓની વિસ્તૃત માહિતી આપી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ ૧૪૦૦ ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે. ગુજરાતના ખેડૂતમા તાકાત રહેલી છે. તેને પાણી બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂતમાં ક્ષમતા છે ત્યારે ગુજરાતનો ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશોની દેશ અને વિદેશમાં માંગ વધે અને વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે. 
 છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેક્શન આપવામાં આવ્યા છે.  ૧૯ હજાર કરોડના ખર્ચે ખેડૂતોની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. પહેલા ખેડુત દેવાદાર હતો. ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી. સરકારી ઝીરો ટકા વ્યાજે લોન આપીને સાત પગલા ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજના લાવીને ખેડૂતને વિકાસની મુખ્યધારામાં જોડવા સેવાયજ્ઞ કર્યો છે. 
 નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત "કિસાન સG`DFGન્માન દિવસ" કાર્યક્રમમા કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સૂર્યોદય યોજનાના અસરકારક અમલીકરણ થી ખેડૂતને "નિરાંતની નીંદર" મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ  તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ  માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે."કિસાન સૂર્યોદય યોજના"ના અમલીકરણ થી રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવતું સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જે ગુજરાત સરકારની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવે છે. 
ગુજરાતના ખેડૂતોનો દાયકાઓથી જે પ્રશ્ન સતાવતો હતો તેની ચિંતા ગુજરાતની સંવેદનશીલ સરકારે કરી છે તેમ જણાવી નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે પોતાની કટિબદ્ધતાનું  ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યુ કે,આઠ થી નવ હજાર કરોડના ખર્ચ મંજુર કરીને જી.ઈ.બી.ના સહયોગથી ખેડૂતોને દિવસ દરમિયાન પણ ખેતી માટે વીજળી મળી રહે તેવું તબક્કાવાર આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. 
નર્મદા યોજના દ્વારા કચ્છ સુધી તેમજ ૩૫૦  કિ.મીની  કેનાલ દ્વારા સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના ગામે-ગામ પાણી પહોંચતું કર્યું છે.જેનાથી આજે  ગુજરાત ૧૮ લાખ હેકટર જમીનમાં સિંચાઇ થઈ રહી છે જે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના કાર્યાન્વિત કરીને ગામેગામ પહોંચાડેલ પાણી ની સુવિધાને આભારી છે.
ભૂજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજય સરકારે સતત પાંચ વર્ષ સુધી જનસેવા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. ખેડૂતો ના પાકને નુકસાન ન થાય તે માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં ખેડૂતો માટે પાંચ વર્ષમાં ૨૯ હજાર કરોડથી વધુ સબસિડી આપવામાં આવી છે. ખાતરમાં ૧૯ હજાર કરોડથી વધુ અને યાંત્રીકરણ ટ્રેક્ટર માટે ૬૨૫ કરોડની સહાય આપવામાં આવી છે.
ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે ખેડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળવાથી ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની તેમજ સાપ અને જંગલી જાનવરોના ડરમાંથી મુક્તિ મળશે. રાત્રિના ઉજાગરામાંથી બચવાથી તેઓના શરીરના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થશે. આજે સુર્યોદય યોજના અન્‍વયે આજથી ૫૦૦૧ ગામડાને દિવસે વિજળીના લાભ મળતા થશે. ગામમાં બે તબક્કાના સમયગાળામાં લાઇટ મળવાથી ખેડૂત મિત્રોને કામમાં સરળતા લાગશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આધુનિક ખેતી વિષે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી કેમિકલયુક્ત ખાતરના વધારે પડતા ઉપયોગથી ખેતીપાકોની ગુણવત્તા પહેલા જેવી રહી નથી. જો આજનો ખેડૂત ગાય આધારિત ખેતી કે આધુનિક પદ્ધતિની સજીવ ખેતી તરફ વળશે તો આવનારા દિવસોમાં દેશના નાગરિકોને પોષણયુક્ત આહાર મળી શકશે. 
ઉર્જા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરકાંઠા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. આ સંદર્ભમાં ખેડૂત પાક ઉત્પાદન કરે પછી માલસંગ્રહ માટે ગોડાઉનની વ્યવસ્થા અને ઉત્પાદન કરેલો માલ માર્કેટ સુધી પહોંચાડવા માટે કિસાન પરિવહન યોજના અમલમાં મૂકી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન  આપવા ઓર્ગેનિક ખેતી અને ગૌ-માતાને પ્રોત્સાહન માટે દેશી ગાયના નિભાવણી માટેની દર મહિને રૂપિયા એક હજારની સહાયથી ખેડૂતોને મળશે. સાથે ફુલ શાકભાજી  વેચતા ખેડૂતોને છત્રી, અને કૃષિ કિટ ખાતર, બિયારણ, કાંટાળા તારની વાડની સહાય, આમ નાના ખુડૂતોની મુશ્કેલી સમજીને નિરાકરણ  કરવા માટે અનેક પગલા ભર્યા છે. સાથે સાથે ખેડૂતોને ટેકાના વ્યાજબી ભાવો મળી રહે તે માટે ઉત્પાદીત  અનાજની માર્કેટમાં ખરીદી કરીને તેને યોગ્ય ભાવો આ સરકારે આપ્યા છે. ખેડૂતોને તેની મહેનતનું  પુરે પુરૂ વળતર મળે, પાક વિમા યોજના જેવા લાભો આપ્યા છે.  છેલ્લા પાંચ વર્ષમાં ૨૨ લાખ ૧૯ હજાર કરોડની ખરીદી કરી છે. અને ખેડૂતોના ૪૧ લાખ મેટ્રીકટન અનાજની ખરીદી કરી છે.
કિસાન દિવસ નિમિત્તે રાજયભરમાં ૧૨૦ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સુરત, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, ખેડા, મહિસાગર, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર,  અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા,  પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ચાર-ચાર કાર્યક્રમો યોજાયા હતા જ્યારે ભરૂચ, નર્મદા, બોટાદ, કચ્છ અને દાહોદ જિલ્લામાં ત્રણ-ત્રણ કાર્યક્રમો,  તાપી-નવસારી જિલ્લામાં બે-બે કાર્યક્રમો અને ડાંગ જિલ્લામાં એક મળી કુલ ૧૨૦ સ્થળોએ કાર્યક્રમ યોજાયા હતા.
રાજ્યવ્યાપી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવસારી કેબિનેટ મંત્રી સર્વ ઈશ્વરભાઈ પરમાર ભરૂચ,  કુંવરજીભાઈ બાવળીયા મહીસાગર, જવાહર ચાવડા વડોદરા, દિલીપકુમાર ઠાકોર જામનગર ખાતે, જયેશભાઇ રાદડીયા રાજકોટ,ગણપત વસાવા ગાંધીનગર, રાજ્ય મંત્રી સર્વ રમણભાઈ પાટકર સુરેન્દ્રનગર, યોગેશ પટેલ બનાસકાંઠા,  બચુભાઈ ખાબડ સુરત ,વિભાવરીબેન દવે તાપી, જયદ્રથસિંહ પરમાર આણંદ, પુરુષોત્તમ સોલંકી ભાવનગર,  ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા,  વાસણભાઇ આહીર મોરબી, કિશોરભાઇ કાનાણી પોરબંદર ખાતેથી હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાંસદઓ, ધારાસભ્યઓ સહિત અન્ય પદાધિકારીઓ વિવિધ જિલ્લા મથકે ઉપસ્થિત રહ્યા હતા.

(7:12 pm IST)