Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કચ્છની સરકારી હોસ્પિટલમાં ગુલિયન બાર સિન્ડ્રોમની સફળ સારવાર: બાળરોગ વિભાગે બાળકને લકવાની અસરથી બચાવી લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

 અદાણી સંચાલિત કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે જનરલમાં કદાચિત જોવા મળતી ગુલિયન બેર સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારી જેવા લક્ષણ ધરાવતા બાળકને મોંઘા ભાવના ઈંજેકશન સાથે નિશુલ્ક સઘન સારવાર આપી આખા શરીરે લકવો થાય તે પહેલાં જ બચાવી લેવામાં આવ્યો હતો. 

      જી. કે. જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત અને હેડ ડો રેખાબેન થડાનીએ કહયું કે ,જો આ રોગની વેળાસર સારવાર ના અપાય તો પગથી શરૂ થયેલો પેરાલિસિસ શ્વસનતંત્ર સુધી પહોંચી આખા શરીરને લકવો કરી દે છે. તેમણે જણાવ્યું કે, ગાંધીધામનો પાંચ વર્ષીય બાળક ધ્રુવકુમાર જ્યારે  જી.કે. માં આવ્યો ત્યારે આ જ પરિસ્થિતી હતી.પગમાં હલન ચલન જણાતું નહોતું. 

          સ્થિતિ વિકટ જણાતા એમઆરઆઈ તેમજ સીએસએફ (મણકાનું પાણી ) વિગેરે ચકાસણી કરાવવાથી  ગુલિયન બાર સિન્ડ્રોમ રોગ જણાયો, તેથી સમય પારખી તાત્કાલિક સારવાર કરી, મોંઘાભાવના  ઇમ્યુનોગ્લોબિન ઈંજેકશન આપી રોગને શ્વસનતંત્ર સુધી પ્રસરતો આટકાવી દીધો. તેમજ વિવિધ સારવાર આપવામાં આવી. આ સરવારમાં બાળરોગ નિષ્ણાંત ડો.લાવણ્યા, ડો.ગાર્ગી નાયક, ડો.પાર્થ સાણંદિયા સહિત નર્સિંગ સ્ટાફ જોડાયો હતો. બાળકને નિયમિત કસરત પણ  કરાવાઈ હતી 

       તેમના જણાવ્યા અનુસાર, ગુલિયન બાર સિન્ડ્રોમમાં  શરીરની પ્રતિરક્ષા (ઇમ્યુંનિટી) સિસ્ટમ,સ્વસ્થ  ચેતાતંત્ર અને માંસપેશી ઉપર હુમલો કરે છે. જેથી કામજોરી આવી જાય છે. પગમાં ઝણઝણાટી થાય છે. ત્યારબાદ જો જરૂરી સારવાર ના થાય તો આખા શરીરમાં ઝણઝણાટી ફેલાય છે. શરૂઆતમાં આ રોગથી શ્વાસ સબંધી પરેશાની થાય છે, જે શ્વસન પ્રણાલીને અસર કર્યા પછી, સમગ્ર શરીરમાં પ્રસરે છે અને શરીર લક્વાગ્રસ્ત બની જાય છે.

(10:09 am IST)