Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકોના હસ્તે આઠમની મહાઆરતી કરાઈ

સાંસદ વિનોદભાઈ ચાવડા, કાંતિલાલ અમૃતિયા, સીરામીક અગ્રણી નિલેશભાઈ જેતપરિયા સહિતનાએ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપની સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ ઃ શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દુર્ગાઅષ્ટમી એટલે આઠમા નોરતે આઠમની મહાઆરતી દિવ્યાંગ બાળકો અને તેના માતા-પિતાને હસ્તે કરાવીને માતાજી આ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની જેમ તેમના મનગમતા ક્ષેત્રેમાં આગળ વધવાની શકિત આપે અને સામાન્ય બાળક પણ જે કાર્ય ન કરી શકે તેવું કાર્ય કરવા માટે દિવ્યાંગ બાળકોને શકિત સામાર્થ્યવાન બનાવે તેવી જગત જનની જગદંબાને પ્રાર્થના કરાઈ હતી.

તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી  સાથે છેલ્લા ૧૪ વર્ષથી માતાજીની ભકિતની સાથે દેશભકિત પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વખતે નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણ-ીય સુર અને સંગીતના સથવારે  મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરરોજ રાત પડેને દિવસ ઉગે તો યુવાનો માટે માહોલ સર્જાય છે. આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને નામાંકિત કલાકારોના ગીત સંગીતના કર્ણપ્રિય તાલે મોટી સંખ્યા યુવક યુવતીઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, હવે નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણોમાં પહોંચ્યો છે. છતાં ખૈલૈયાઓમાં જરાય થાકનો અણસાર દેખાતો નથી. એટલો ઉત્સાહ છે. દરેક સમાજની નાની મોટી દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી હોવાથી સોરષ્ટના પ્રખ્યાત કલાકારોના કર્ણપ્રિય સુર સંગીતના તાલે મોટી સંખ્યામાં બહેનો દરરોજ મુકતપણે વાતાવરણમાં મન મુકીને રાસ ગરબે ઝૂમી રહી છે.

આઠમના નોરતે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભરતભાઇ જારીયા, સીરામીક અગ્રણી નિલેશભાઈ જેતપરિયા, માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, કાંતિકારી સેનાના રાધે પટેલ, ડો.સનારિયા, ડો. માલાસણા, ડો. ગોપાણી અને ડૉ. હિતેશ પટેલ  સહિતનાએ હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપથી સમાજ જાગૃતિથી દેશભાવના મજબૂત બનાવવા માટે અવિરતપણે થતા તમામ સારા કાર્યોને બિરદાવી સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમને અભિનંદન આપ્યા હતા. આ દરેક મહાનુભાવોનું યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને મોરબી અપડેટના સુપ્રિમો દિલીપભાઈ બરાસરાએ સન્માન કર્યું હતું.

(11:37 am IST)