Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભાવનગરના ૧૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા : ૧૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર અને અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું

અમદાવાદ, તા.૫ : સમગ્ર દેશમાં ફરી એકવખત કોરોનાના કેસો વધવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે નવા વેરિયન્ટ ઓમિક્રોને સરકારની ચિંતાઓ વધારી દીધી છે. આ વેરિયન્ટ ઘણો જ સંક્રામક છે. દક્ષિણ આફ્રિકાથી આ વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાયો છે. હવે આ વેરિયન્ટ ગુજરાતમાં ફેલાવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજ્યના જામનગરમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાતા ફફડાટ ફેલાયેલો છે, ત્યારે અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા ભાવનગરના ૧૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર અને અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે.

ગત શનિવારે રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ૪૪ નવા કેસ નોંધાયા હતા જેમાં ભાવનગરના એકસાથે ૧૧ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ લોકો થોડા દિવસ પહેલા અમદાવાદની કન્ટ્રીયાર્ડ મેરિયટ હોટલમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સતર્ક થઈ ગયું છે અને હોટલના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે.

ભાવનગરના જે ૧૨ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તે લોકો ગત ૨૫થી ૨૮ નવેમ્બર દરમિયાન અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી હોટલ કન્ટ્રીયાર્ડ મેરિયટમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાની હિસ્ટ્રી સામે આવી છે. જેને પગલે એએમસી સતર્ક થઈ ગયું છે અને હોટલના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ભાવનગર મ્યુનિસિપલ આરોગ્ય તંત્ર દ્વારા આ લોકો અને તેમના પરિવારને હોમ ક્વારન્ટાઈ કરી દેવાયા છે. આ લોકોની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. સાથે જ આ દરમિયાન આ લોકો કોના-કોના સંપર્કમાં આવ્યા તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

(1:04 pm IST)