Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બે તલવાર લઈને રમતો ભુવો લોહીલુહાણ થયો

ભાવનગરમાં અંધશ્રદ્ધાનો ગજબનો કિસ્સો : મામા દેવના માંડવામાં અંધશ્રદ્ધામાં રાચતા ભુવાએ બે તલવાર લઈને રમતા પેટના નીચેના ભાગે તલવાર વાગી

ભાવનગર,તા.૬ : અંધશ્રદ્ધાની આડમાં લોકો એટલા ઓત પ્રોત થઇ જાય છે, કે તે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રહેતો નથી. અને અંધશ્રદ્ધામાં અનેક અજીબો ગરીબ ઉપાયો ભૂવાઓ કરતા હોય છે. આપણા દેશના કોઈને કોઈ ખૂણા માંથી અંધશ્રદ્ધાના બનાવો સામે આવતા જ રહે છે. અને હાલમાં ગુજરાતના ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી છે, ૨૧મી સદીમાં અંધશ્રદ્ધાના ભોગે ભૂવાને હોસ્પિટલમાં પહોંચવાનો વારો આવ્યો છે. આ કહાની વિષે જાણીને તમે ચકિત થઈ જશો. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મામા દેવના માંડવામાં ૨૧મી સદીમાં અંધશ્રદ્ધામાં રાચતા એક ભુવાએ બે તલવાર લઈને રમતા પેટના નીચેના ભાગે તલવાર વાગી ગઈ હતી. ભૂવાને તલવાર વાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માંડવા દરમિયાન ભુવાએ તલવાર લઈ પેટના ભાગે રાખી હતી, તેવામાં વધારે દબાણ કરતા તલવાર પેટના નીચેના ભાગે ઘુસી ગઈ હતા. આ ઘટનામાં અચાનક ભુવા સાથે મોટી હનહોની થઈ ગઈ હતી અને પેટના ભાગે ધડધડ લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે તે લોહીલુહાણ થયો હતો, ભૂવાને ખ્યાલ આવી ગયો હતો કે તેને પેટના ભાગે રાખેલી તલવાર વાગી છે.

જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. આ વીડિયો ભાવનગર શહેરના જ કોઈ વિસ્તારનો હોવાનું મનાય છે, પરંતુ ચોક્કસ સ્થળ વિશે માહિતી મળી શકી નથી. અત્રે નોંધનીય છે કે, વર્તમાન સમય ટેક્નોલોજી અને મોર્ડન લાઇફસ્ટાઇલનો છે. લોકો આધુનિક જીવન જીવવા લાગ્યા છે. ઇન્ટરનેટે દેશના મોટાભાગના ઘરોમાં સ્થાન બનાવી લીધું છે. કપડાંથી લઈને ભોજન સુધી જે જોઈએ તે ઓનલાઇન ઓર્ડર કરો એટલે ઘરે બેઠા મળી જાય છે. દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે, પણ ભારતમાંથી અંધશ્રદ્ધા ગઈ નથી.

(9:44 pm IST)