Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પાંચ હેકટરમાં કરેલ સક્કર ટેટી અને તરબૂચની ખેતી ગાંજણવાવના મહેન્દ્રભાઇને અપાવશે પાંચ ગણી આવક

ધ્રાંગધ્રા એટલે કે પથ્થરોની ધરા તરીકે ઓળખાતા ધ્રાંગધ્રા પંથકના ધરતીપુત્રો આજે તેમની મહેનત અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શનના સાથે આધુનિક કૃષિને અપનાવીને આર્થિક રીતે સમૃધ્ધ બની રહ્યા છે. આજે વાન કરવી છે ધ્રાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના એવા જ એક ધરતીપુત્રની કે જેણે ૧૯૯૨ના વર્ષથી સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇ કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની સાથોસાથ વારસામાં મળેલા કૃષિ જ્ઞાન દ્વારા તેમની કૃષિને સમૃધ્ધ બનાવી છે.

ગાંજણવાવ ગામના કૃષિ ઋષિ એવા મહેન્દ્રભાઇ પટેલે તેમની પરંપરાગત ખેતી છોડીને તેની જગ્યાએ પાંચ એકરના ખેતરમાં આ વર્ષે રવિ પાક તરીકે સકકરટેટી અને તરબૂચની સફળ ખેતી કરી છે. મહેન્દ્રભાઇના જણાવ્યા અનુસાર કપાસ, એરંડા, ઘઉં અને જીરા જેવા પાકો તેમની પરંપરાગત ખેતીના ભાગ હતા પણ વર્ષ દરમિયાન અથાગ મહેનત કર્યા બાદ પણ તેમાંથી સંતોષકારક વળતર મળતુ ન હતુ.

સમાચાર પત્રો અને સામાયિકોના વાંચનનો શોખ ધરાવતા મહેન્દ્રભાઇએ તેમાં આવતી સફળ ખેડૂતોની સાફલ્ય ગાથાઓથી પ્રેરીત થઇ પરંપરાગત ખેતી છોડીને આધુનીક ખેતી તરફ વળવાનો સાહસિક વિચાર કર્યો તેમના વિચારને તજજ્ઞો અને બાગાયત અધિકારીશ્રીના માર્ગદર્શને નવુ બળ પુરૂ પાડયુ અને મહેન્દ્રભાઇએ તેમની પાંચ એકર જમીનમાં આધુનીક પધ્ધતીથી સકકરટેટી અને તરબૂચની ખેતી કરી.

મહેન્દ્રભાઇએ આધુનીક કૃષિ પધ્ધતિ જેવી કે રેઇઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઇ પધ્ધતીનો ઉપયોગ કર્યો. આ માટે તેમને મલ્ચિંગ, ગ્રો કવર માટે રાજય સરકારના બાગાયત વિભાગ તરફથી સબસીડીનો લાભ પણ મળ્યો જેનુ ખૂબ સારૂ પરિણામ એમને મળ્યુ. પહેલા રવિ સીઝન દરમિયાન તેમને પાંચ એકરમાં જીરાના વાવેતરમાંથી આશરે બે થી અઢી લાખની આવક થતી હતી. તેની સામે આ વર્ષે સકકરટેટી અને તરબૂચના વાવેતરમાંથી અંદાજે ૧૨ થી ૧૫ લાખ જેટલી આવક મળશે તેમ મહેન્દ્રભાઇએ જણાવ્યુ હતુ.

સકકર ટેટી અને તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિશે વાત કરતા ગામના ખેડૂતોએ જણાવ્યું કે અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે. જયારે તેના ભાવ પણ બજારમાં ઓછા મળે છે. સકકરટેટી અને તરબૂચની ખેતી વધીને ૭૦ દિવસના સમયગાળામાં પુર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધુ મળે છે. તેમજ અન્યપાકોની સરખામણીએ સકકરટેટી અને તરબૂુચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂ ઉત્પાદન મળતુ હોય છે.

મહેન્દ્રભાઇએ આધુનીક પધ્ધતીના ઉપયોગથી ઉચ્ચ ગુણવતાવાળી સકકરટેટી અને તરબૂચનું વાવેતર કર્યુ છે જેના કારણે સામાન્ય ટેટીનું વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ હોય છે જયારે મહેન્દ્રભાઇના ખેતરની ટેટીનું વજન દોઢ કિલો સુધીનુ જોવા મળ્યુ છે.સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારી શ્રી સચિન શેઠએ જણાવ્યુ હતુ કે જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે સકકરટેટી અને તરબૂચની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકાર દ્વારા ગ્રો કવર માટે હેકટર દીઠ ૨૧૦૦૦ અને મલ્ચિંગ માટે હેકટર દીઠ ૧૬૦૦૦ રૂપિયાની સબસીડી અપાય છે. જેનો લાભ લઇ મહેન્દ્રભાઇએ તરબૂચ અને સકકરટેટીની સફળ ખેતી કરી છે.

અભ્યાસમાં થોડા પાછળ રહી ગયેલ મહેન્દ્રભાઇ ખેતીના વિષયમાં જરા પણ પાછળ નથી. ફકત સકકરટેટી અને તરબૂચ જ નહિ તેઓ હરહંમેશ નવતર પ્રયોગો કરતા રહ્યા છે. આધુનીક ખેતી તરફ જવાની તેમની પહેલ ૧૯૯૨ના વર્ષથી ચાલુ છે. ૧૯૯૨માં તેમણે સૌપ્રથમ જિલ્લા બાગાયત વિભાગની મદદથી ગોલાબોરનું વાવેતર કરી તેમા ડ્રીપ પધ્ધતી અપનાવી હતી અને ત્યારથી લઇને આજ સુધી તેઓ જામફળ, દાડમ, કેરી, લીંબુ, ખારેક જેવા અનેક નવતર બાગાયતી પાકોના વાવેતર દ્વારા અન્ય ધરતીપુત્રોને આધુનીક ખેતી અપનાવવા રાહ ચીંધી રહ્યા છે.

લેખન નિતિન રથવી સુરેન્દ્રનગર

(11:37 am IST)