Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કથાકાર - પત્રકાર - કલાકાર તંદુરસ્‍ત સમાજ રચનામાં પાયાના પથ્‍થર સમાન : પૂ. રમેશભાઇ ઓઝા

ભારત ‘વિશ્વગુરુ' બની શકે અને જગતને આપી શકાય તેટલો વિરાટ આધ્‍યાત્‍મિક ખજાનો સનાતન ધર્મમાં ઉપલબ્‍ધ છે : ઊંઘમાં હોય તેને જગાડી શકાય પરંતુ ઊંઘવાનો ઢોંગ કરનારાઓને જગાડવા અશક્‍ય - ભાઇશ્રી : જામનગરમાં ધર્મેન્‍દ્રસિંહ જાડેજા પરિવાર આયોજીત કથામાં ઉમટતા ભાવિકો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : જામનગરમાં ચાલતી ભાગવત કથા જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે વ્‍યાસપીઠ પરથી પૂજય રમેશભાઈ ઓઝાએ ભાગવતજી તેમજ અન્‍ય શાસ્ત્રોના આધારે કથાકાર - વક્‍તામાં કયા પ્રકારના સદગુણો હોવા જોઈએ, તેની રસપ્રદ છણાવટ કરી હતી.

ભાગવત કથાનું શ્રવણ તેમજ સત્‍સંગ એ જાણી ચૂકેલા અસત્‌ નો ત્‍યાગ કરવા માટે મહત્‍વપૂર્ણ છે. શીખ ધર્મના આચરણનું દ્રષ્ટાંત આપી જણાવ્‍યું હતું, કે ગુરૂમાન્‍ય ગ્રંથને જ શીખોએ ઈશ (ગ્રંથગુરૂ) તરીકે સ્‍વીકારી ધાર્મિક પરંપરા ઊભી કરી છે. ગુરુ ગ્રંથ સાહેબની આમન્‍યા જાળવવામાં શીખ ધર્મ ઉદાહરણીય છે, જે ધર્મગ્રંથોનો આદર કરવા પ્રેરે છે. શ્રીમદ્‌ ભાગવત સહિતના સનાતન ધર્મના ગ્રંથો માત્ર ઉપદેશ આપનારા નથી, તે દુરસ્‍ત માનવમનનો ઈલાજ કરવા પણ સક્ષમ છે. પ્રત્‍યેક હિન્‍દુ પરિવારના ઘરમાં ભાગવત ગ્રંથ અવશ્‍ય હોવો જ જોઈએ. કથાકાર, પત્રકાર અને કલાકાર એ ધાર્મિક ભાવનાથી પ્રેરિત તંદુરસ્‍ત સમાજરચનામાં પાયાની ભૂમિકા ભજવનારા આધારસ્‍તંભો છે. આ ત્રણેય ક્ષેત્ર વચ્‍ચે પણ સાયુજય હોવું અનિવાર્ય છે. જો આ ત્રણેય જનસેવા માર્ગે કાર્યરત હશે, તો જ સરકાર વ્‍યવસ્‍થિત ચાલશે.

આ ત્રણેય આધારસ્‍તંભોએ સુવ્‍યવસ્‍થિત સરકાર ચલાવવા માટે શાસકોને પણ સત્‍ય તથા સુચારૂ નિર્દેશન કરવું પડશે. ‘યથા રાજા, તથા પ્રજા'ની ઉક્‍તિ અનુસાર શાસકો ધર્મનિષ્ઠ, પ્રજાવત્‍સલ, દીર્ઘદ્રષ્ટા, સમાજના તમામ વર્ગોને સાથે રાખીને ચાલનારા બનશે, ત્‍યારે આમ નાગરિકોનું કલ્‍યાણ થશે. પત્રકારોએ પણ સારું લાગે તેવું લખવાની સાથે નિર્ભિકપણે સાચું લખવાની પણ ધૈર્યતા અપનાવવી જોઈએ. તેમણે પત્રકારોને ‘માય સ્‍વીટ ફ્રેન્‍ડ' કહીને સંબોધ્‍યા હતા.

જામનગરના આ જ્ઞાનયજ્ઞમાં યજમાન પરિવારના નિમંત્રણથી પધારેલા વિવિધ રાજકીય વિચારધારાવાળા નેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રના સમાજના અગ્રણીઓની નોંધ લઇ પૂજય ભાઇજીએ પ્રજાના પ્રતિનિધિઓનો લોકો સાથેના વ્‍યવહારનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, રાજનીતિ કરવી પણ સહેલી નથી. રાજનીતિ ધર્મ વગરની ના હોવી જોઈએ, સાથોસાથ ધર્મમાં રાજનીતિ પણ ના હોવી જોઈએ. રાજનેતાઓ તેમજ ધર્મગુરુઓએ પણ આત્‍મચિંતન, આત્‍મદર્શન તેમજ સ્‍વમૂલ્‍યાંકન કરતા રહેવું જોઈએ. પ્રજાજનોની યોગ્‍ય સોચ અને ગંભીરતાથી સાચી દિશા તરફ લઈ જવાની જવાબદારી સરકારની છે.

ᅠઆજે આદિ શંકરાચાર્યજીની જન્‍મજયંતી હોઇ, તેઓએ ફક્‍ત ૩૨ વર્ષના આયુષ્‍યમાં કરેલા દિવ્‍ય કાર્યો અને સનાતન ધર્મના ઉત્‍થાનને પણ વર્ણવ્‍યું હતું. ઉપરાંત આ પરંપરાના પૂજય રામાનુજાચાર્ય સહિતના સંતોના સનાતન ધર્મને ટકાવી રાખવાના યોગદાનની શ્રોતાઓને યાદ અપાવી હતી. સનાતન ધર્મસ્‍થાનો, ધર્મગ્રંથો તેમજ ધર્માચાર્યો પાસે સદવિચાર, સદઆચરણ તેમજ વિશ્વકલ્‍યાણ વિષયક અઢળક ખજાના સ્‍વરૂપ સામર્થ્‍ય પડ્‍યું છે, જે ભારતની ઓળખ સમાન છે. આ આધ્‍યાત્‍મિકતા વિશ્વબંધુત્‍વ અને માનવ કલ્‍યાણનો સંદેશ ટકી જશે, અને વ્‍યાપકપણે પ્રસરશે, તો ભારતને ‘વિશ્વગુરુ' બનતાં કોઈ અટકાવી શકશે નહીં. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:29 am IST)