Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સરકારના બે ટોલ વચ્‍ચેના અંતરના નિયમનો ઉલાળિયો કરીને ઉઘાડી લૂંટ કરતા રાજકોટ જેતપુર વચ્‍ચેના બે ટોલ બૂથ

વીરપર પાસેના પીઠડીયા ટોલ પ્‍લાઝાએ દાદાગીરી : માત્ર પાંચ સાત કિમીઅંતરમાં આવેલા ગામોના વાહન ચાલકો પાસેથી ૪૦ કે ૮૦ રૂપિયાનો પઠાણ રકમનો ટોલટેક્ષ લેવામાં આવે છે

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા. ૭ : સૌરાષ્ટ્રના જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુર અને ખોડલધામની તદ્દન નજીક પીઠડીયા ટોલપ્‍લાઝાએ વીરપુર તેમજ ટોલપ્‍લાઝાની આજુબાજુ ૧૦ કિમીની ત્રિજયામાં આવતા ૧૨ જેટલા ગામોના વાહન ચાલકો પાસેથી ટોલટેક્‍સ નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા. વીરપુર પાસેના પીઠડીયા ટોલપ્‍લાઝાએ વીરપુર તેમજ પીઠડીયા, કાગવડ, ખોડલધામ, થોરાળા, ગોમટા સહિતના ૧૨ જેટલા ગામોના લોકો જેતપુર કે ગોંડલ પોતાના રોજગાર માટે હાઇવે પરથી અપડાઉન કરતા હોય છે ત્‍યારે વીરપુર અને પીઠડીયા વચ્‍ચે પીઠડીયા ટોલપ્‍લાઝા આવેલ છે આ ટોલપ્‍લાઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય છતાં કેટલાય વર્ષોથી વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવામાં આવે છે તેવી વાહન ચાલકોમાં ફરિયાદો ઊઠી છે જેમાં નિયમો અનુસાર ટોલપ્‍લાઝાની ૧૦ કિમીના ત્રિજયમાં આવતા ગામોના વાહન ચાલકો પાસેથી લોકલ ટેક્ષ પેટે ૫ કે ૧૦ રૂપિયા ટોલટેક્ષ લેવામાં આવતો હોય છે પરંતુ પીઠડીયા ટોલપ્‍લાઝાના તદ્દન નજીકના યાત્રાધામ વીરપુર તેમજ ખોડલધામ કાગવડ અને પીઠડીયા ગામતો માત્ર પાંચ કે સાત કિમીના જ અંતરમાં આવેલા છે છતાં નિયમોને નેવે મુકીને વીરપુર,કાગવડ તેમજ પીઠડીયા ગામના વાહન ચાલકો પાસેથી ૪૦ કે ૮૦ રૂપિયા સુધીની રકમનો ટોલટેક્ષ લેવામાં આવે છે, વાહન ચાલકો પાસેથી જાણે ઉઘાડી લૂંટ કરવામાં આવતિ હોય તેમᅠ વાહન ચાલકો કોઈ કર્મચારીઓ સામે પ્રશ્નો કરે કે અમે તો ટોલપ્‍લાઝાની તદ્દન નજિકના ગામના છીએ તો વાહન ચાલકો સામે ઉદ્ધતાય ભર્યું વર્તન કરવામાં આવે છે તેમજᅠ વાહન ચાલકો પાસેથી પોતાના મોબાઈલ પણ ઝૂંટવી લેવામાં આવે છે અને ફરજીયાત ડબલ ટોલટેક્ષ લઈ લેવામાં આવે છે, જયારે આ બાબતે અગાઉ પીઠડીયા ગામના લોકોએ તેમજ આજુબાજુ ગામોના ખેડૂતોએ ભૂતકાળમાં પીઠડીયા ટોલપ્‍લાઝાએ આંદોલનો પણ કર્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્‍યા નથી,
 રાજકોટના ભરૂડી અને જેતપુરના પીઠડીયા બને ટોલ નાકા વચ્‍ચે માત્ર ૩૫ થી ૪૦ કિમીનું જ અંતર છે.
બે ટોલ બુથ વચ્‍ચેના અંતર ના નિયમ મુજબનું અંતર ૬૦ કિમિ હોવું જોઈએ અને કેન્‍દ્રીય વાહનવ્‍યવહાર મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં નિવેદન આપ્‍યું હતું કે ૬૦ કિમિની અંતરમાં એક જ ટોલ બુથ હોવું જોઈએ અને જો બે ટોલપ્‍લાઝા હશે તો તે ટોલપ્‍લાઝા હટાવી દેવાશે પરંતુ વીરપુર પાસેના પીઠડીયા ટોલપ્‍લાઝા અને ગોંડલ પાસેનું ભરૂડી ટોલપ્‍લાઝા માત્ર ૩૫ કે ૪૦ કિમિની અંતરમાં જ બે ટોલપ્‍લાઝા આવેલા છે અને બંને જગ્‍યાએ ટોલ ઉઘરાવીને કરોડો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છેᅠ
તોતિંગ ટોલ ટેક્‍સ ને લઈને બંને ટોલ નાકા ઉપર અવારનવાર સ્‍થાનિક લોકો તેમજ વાહન ચાલકો સાથે ઝગડા સામાન્‍ય બાબત છે, અને આ બાબતે ભૂતકાળમાં ગોંડલ તાલુકા પોલીસ અને વીરપુર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદો પણ થઇ ચુકી છે.
સરકાર નિયમ મુજબ ૨ ટોલ નાકા વચ્‍ચે ૬૦ કિમીનું અંતર હોવું જોઈએ જેને લઈને સ્‍થાનિક લોકોએ વીરપુરના પીઠડીયા ટોલ નાકાને હટાવવા માટેની સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

 

(11:20 am IST)