Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મુંદ્રાના પોલીસ સ્ટેશનમાં બે ગઢવી યુવાનોના ક્સ્ટોડીયલ ડેથ મામલે કાલે મુંદ્રા બંધનું એલાન

સમાઘોઘા ખાતે સમસ્ત ચારણ સમાજની એક જાહેરસભા બોલાવાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્સ્ટોડીયલ ડેથ કેસમાં મૃત્યુ પામેલા હરજુગ ગઢવીનો મૃતદેહ સ્વીકારવાનો ગઢવી સમાજે ઈન્કાર કરી દીધો છે. જ્યાં સુધી ફરાર છ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી ગઢવી સમાજે માંગણી કરી હતી

    બે- બે યુવકોના મોત મામલે સમસ્ત ગુજરાતનો ચારણ- ગઢવી સમાજ એક થઈ ગયો છે. દરમિયાન, કચ્છ ગઢવી- ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવી અને સમાજના આગેવાનોએ મુંદ્રામાં બેઠક યોજી ભાવિ કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડી કાઢી છે. વિજયે જણાવ્યું હતું કે, હરજુગ ગઢવીનું પોસ્ટમોર્ટમ કરવા હજુ સમાજે સંમતિ આપી નથી. ચોક્કસ શરતોને આધિન રહીને જ સમાજ તેના મૃતદેહનું પીએમ કરવા અને અંતિમસંસ્કાર માટે અનુમતિ આપશે. જો કે, તે મામલે હજુસુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

  સોમવારે સવારે સાડા નવ વાગ્યે સમાઘોઘા ખાતે સમસ્ત ચારણ સમાજની એક જાહેરસભા બોલાવાઈ છે.  માંડવી-મુંદ્રા સહિત ચારણ-ગઢવી સમાજની બહુમતિવાળાં ગામોને આવતીકાલે સ્વયંભૂ બંધ પાળી તેમનો શોક અને વિરોધ પ્રગટ કરવા એલાન અપાયું છે. આ મામલો માત્ર ગઢવી સમાજનો નહીં, પરંતુ પોલીસ અને પ્રજા વચ્ચેનો છે તેને અનુલક્ષીને ગઢવી સમાજે મુંદ્રાની સમસ્ત જનતાને પણ બંધમાં જોડાવા આહ્વાન કર્યું છે.

કચ્છના ચૂંટાયેલાં ધારાસભ્યો- સાંસદ અને સરકારે પાળેલાં મૌનની ગઢવી સમાજે આકરી ટીકા કરી રોષ પ્રગટ કર્યો છે. તે વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલે તેમની પ્રતિક્રિયા આપી ગઢવી યુવકોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવા માગ કરી છે.

(12:00 pm IST)