Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પોરબંદરના આદિત્યાણાના ડબલ મર્ડરના કેસમાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

પોરબંદર તા. ૮રૂ પોરબંદર જીલ્લાના આદિત્યાણા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

સને ર૦૧૮ ની સાલમાં આદિત્યાણામાં ડબલ મર્ડર થયેલા હોય પરંતુ બંને મર્ડર અલગ અલગ જગ્યાએ થયેલા હોય અને તેથી રાણાવાવ પોલીસ દ્વારા જે તે વખતે બંને ગુનાઓ અલગ અલગ નોંધેલા હતાં. અને જે તે વખતના ભાજપના જ નગરપાલિકાના ચુંટાયેલા સભ્ય હાજા વિરમ ખુંટીનું ખુન થયેલું હોય અને મારનાર તરીકે પણ રાણાવાવ નગરપાલિકાના સભ્ય અને વિરોધ પક્ષના નેતા વિંઝા રામદે મોઢવાડીયાનું નામ ખુલેલુ હોય અને બંને ભારતીય જનતા પક્ષ સાથે જ સંકળાયેલા હોવાના કારણે અને મારનાર અને મરનાર બંને રાજકીય આગેવાન હોય અને ચુંટાયેલા સભ્ય હોવાના કારણે જે તે વખતે ચકચાર મચી ગયેલી હતી.

બીજુ ખુન કાના રણમલ કડછાનું થયેલું હોય તેમાં પણ વિંઝા રામદે મોઢવાડીયા તથા અન્યના નામ ખુલેલા હતાં. અને આ બંને ખુન કેસમાં આરોપી તરીકે વિંઝાભાઇ ઉપરાંત તેનો ભાણેજ કરણ કેશુભાઇ ઓડેદરાનું નામ પણ ખુલેલું હોય અને તે જે તે વખતે સગીર આરોપી હોય પરંતુ સુધારેલા કાયદા મુજબ ૧૬ વર્ષથી ઉપરના સગીર સામે પણ જયુએનાઇલ કોર્ટમાં કેસ ચલાવવાના બદલે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જ તેનો કેસ ચાલતો હોય અને સગીર વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી તેનો કેસ લડતા હોય અને પોરબંદરમાં સગીરની જામીન અરજી નામંજુર કરતા ગુજરાત હાઇકોર્ટમાં આશિષભાઇ ડગલી મારફતે બંને ખુન કેસમાં અલગ અલગ જામીન અરજી દાખલ કરેલી હતી.

રેકર્ડ ઉપરના પુરાવા ચાર્જશીટના પેપર્સ તેમજ સગીરનો ગુન્હાનો રોલ તેમજ સગીર ભુતકાળમાં અન્ય કોઇ ગુન્હામાં સંડોવાયેલ ન હોવાની એડવોકેટની દલીલ ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બંને કેસમાં કરણ કેશુભાઇ ઓડેદરાને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે એટલું જ નહિં આજ આરોપી સામે આઇ.પી.સી. કલમ-૩૦૭ નો એટલે કે ખુનનો ગુન્હો નોંધાયેલો હોય તે જયુએનાઇલ કોર્ટમાં ચાલી જતા અને તેમાં નિર્દોષ છુટી ગયેલો હોય અને તે રીતે હાઇકોર્ટ દ્વારા તમામ સંજોગોને ધ્યાને લઇ જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં આરોપી વતી અમદાવાદમાં એડવોકેટ તરીકે આશિષભાઇ ડગલી તથા પોરબંદરમાં એડવોકેટ ભરતભાઇ લાખાણી રોકાયેલા હતાં.

(1:50 pm IST)