Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ છે કાર્યકરો નથી : વાઘાણી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: જન આશિર્વાદ યાત્રા ગોંડલ બપોરનાં પહોંચી હતી.જયાં માર્કેટ યાર્ડનાં કિશાન ભવન હોલ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધનમાં કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું કે જવાબદારી ભુલાઇનાં જાય અને જનતા વચ્ચે જવાની આ યાત્રા છે.તેમણે ભાજપનાં કાર્યકરોને લોકોની વચ્ચે જઇ તેમની સમસ્યાં જાણવાં જણાવ્યું હતું.

જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લઇ કહયું કે પચીસ ત્રીસ વર્ષ પહેલાં વિકાસ શકય ના હતો.એ પાપ કોંગ્રેસનાં શીરે છે.ખેત પેદાશ ની જણસીઓને નહીં જાણનારા રાહુલ ગાંધી ખેડૂતોની ચિંતા કરેછે.કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ જ છે.બુથ સુધી પંહોચી શકે તેવાં કાર્યકરો નથી.આ વેળા યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા એ કેબીનેટ મંત્રી સહીત જન આશિર્વાદ યાત્રાને આવકારી હતી.

જન આશિર્વાદ યાત્રાનું માર્કેટ યાર્ડનાં ગેઇટ પાસે સ્વાગત કરાયું હતું.કાર્યક્રમમાં ભાજપ પરીવાર,તાલુકા પ્રાથમીક શિક્ષણ સંઘ,સ્વ નિર્ભર શાળા સંચાલકો,ઉદ્યોગ ભારતી,નાગરિક બેન્ક,નગરપાલિકા સહીતની સંસ્થાઓ દ્વારા કેબીનેટ મંત્રીનું સન્માન કરાયું હતુ.

કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા,ભુપતભાઈ બોદર,નગરપાલિકા પ્રમુખ શિતલબેન કોટડીયા,નાગરિક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા,યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા,કનકસિંહ જાડેજા,અલ્પેશ ઢોલરીયા સહીત ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન પ્રફુલભાઈ ટોળીયા એ કર્યુ હતું.

(10:34 am IST)