Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અસરગ્રસ્ત દરેક ખેડૂતને હવે સહાય મળી રહેશે

જનઆશિર્વાદ યાત્રામાં કૃષી મંત્રીએ કહ્યું : ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલની ખરીદી કરીને ખેડૂતોને નુકશાનીનો થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

જૂનાગઢ, તા.૮ : છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે તેવા હેતુ થી જન આશીર્વાદ યાત્રા આજે જૂનાગઢ આવી પોહચી હતી અને કૃષી મંત્રી રાઘવજી પટેલ જોડાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં યાત્રા ફરી હતી. જૂનાગઢમાં આજે કેબીનેટ કૃષી મંત્રી રાઘવજી પટેલે શહેરના દોલતપરા વિસ્તારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. જેમાં ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે મીટીંગ યોજી હતી.

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષી મંત્રી બનતાની સાથે પેહલો પ્રશ્નએ સામે આવ્યો છે કે, અતીવૃષ્ટિથી જે ખેડૂતોની જમીન ધોવાણ થયું છે. ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને જે નુકશાન થયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને જામનગરમાં પહેલા ફેસ અતીવૃષ્ટીનો સર્વે કરવામાં આવ્યો ત્યાર બાદ ફરી અતીવૃષ્ટી અને પૂરના કારણે ગુજરાત અનેક તાલુકા અને ગામો ખેડૂતોને નુકશાન થયું છે. તેનો સર્વે કરવાની કામગીરીના આદેશ આપી દેવામાં આવ્યા છે. સર્વે થયા બાદ ખેડૂતો ને સહાય આપવામાં આવશે.

જન આશીર્વાદ યાત્રામાં પધારેલ કૃષી મંત્રી રાઘવજી પટેલે ભવાંતર યોજના વિષે કહ્યું કે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સહીત અનેક રાજ્યોમાં યોજના ચાલી રહી છે, ત્યારે ભવાંતર યોજનાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આ યોજના ગુજરાત માટે શક્ય નથી. આજે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલની ખરીદી કરીને ખેડૂતોને નુકશાનીનો થાય તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ભ્રસ્ટાચાર કે ગેરરીતીની ફરીયાદ થઇ નથી. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે કોઈ સબસીડીની યોજના અમલ થશે કે નહિ તે મુદ્દે કૃષી મંત્રીએ જણાવ્યું કે, હાલ કોઈ અમારી પાસે માંગણી નથી અને કોઈ વિચારણા પણ નથી જયારે માસ્કના દંડ વિષે જણાવતા કહ્યુ કે માસ્કનો દંડ હાઇકોર્ટના આદેશ મુજબ દંડની રકમ લેવામાં આવે છે.

વડોદરા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, ૩નાં મોત

અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા  : પાદરાના વડું ગામમાં પરિવારના લોકો અંતિમક્રિયામાં માટે ગયા હતા : પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

વડોદરા, તા.૮ : વડોદરા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૩ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અકસ્માતમાં મોતને ભેટનાર ૩ લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના લોકો અંતિમક્રિયામાં માટે ગયા હતા. દરમિયાન પરત ઘરે ફરતી વખતે પરિવારની કારને અકસ્માત નડતા ૩ સભ્યોના કરૂણ મોત થયા હતા, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ટુંડાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવને પગલે પોલીસે અકસ્માત?ે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ટુંડાવ ગામમાં રહેતા રાબિયાબેન ડોડિયા (૫૦) અને ભીખીબેન ડોડિયા (૪૫) સહિત પરિવારના ૭ સભ્યો કારમાં વડું ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગામે આવ્યા હતા. જો કે, પરિવાર ત્યાંથી પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યો હતો, ત્યારે પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે અન્ય કાર ચાલકે ટક્કર મારતા તેમની કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં રાબિયાબેન, ભીખીબેન અને ડ્રાઈવર વિજયસિંહને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.

(8:56 pm IST)