Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભાવનગર જીલ્લાની ૭ બેઠક પૈકીની ૬ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા :આપ પાર્ટીએ પણ ખાતુ ખોલ્યુ : ગારીયાધારની બેઠક ઉપર આપનો વિજય : તળાજાની બેઠક પણ કોંગ્રેસે ગુમાવી : કોંગ્રેસને એકપણ બેઠક ન મળી : વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા

( વિપુલ હિરાણી )  ભાવનગર :ભાવનગર શહેર અને જીલ્લાની ૭ વિધાનસભા બેઠકના પરિણામો આજે જાહેર થયા હતા ,જેમાં ૬ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા . જ્યારે એક બેઠક ઉપર સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા . જ્યારે કોંગ્રેસને એકપણ બેઠક મળી ન હતી . આપ પાર્ટીએ ભાવનગરમાં ખાતુ ખોલ્યુ છે જ્યારે કોંગ્રેસપક્ષે આ અગાઉની ચુંટણીમાં તળાજાની એક બેઠક જીતી હતી તે પણ આ ચુંટણીમાં ગુમાવી દીધી છે .

 ભાવનગર શહેરની સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે વ્હેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી . તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપુર્ણ શાંતિપુર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઇ હતી .બપોર સુધીમાં તમામ બેઠકના પરીણામો જાહેર થયા હતા . જેમાં ભાવનગર પૂર્વની બેઠકમાં ભાજપના ઉમેદવાર અને શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા ના પત્નિ સેજલબેન પંડયા નો ૬૨,૫૫૪ મતે વિજય થયો હતો . જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બળદેવભાઇ સોલંકી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હમીરભાઇ રાઠોડનો પરાજય થયો હતો . છેલ્લા ૩૫ થી ૪૦ વર્ષથી ભાવનગરની પુર્વની બેઠક ઉપર ભાજપનો કબજો છે . તે ભાજપે જાળવી રાખ્યો હતો . જ્યારે ભાવનગર પશ્ચિમની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ૪૧,૯૨૨ મતે વિજેતા જાહેર થયા હતા .જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કે.કે.ગોહિલ અને આમ આદમી પાર્ટીના રાજુભાઇ સોલંકીનો પરાજય થયો

અત્રે ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી ટર્મમાં જીતુભાઇ વિજેતા થઇ હેડ્રીક સર્જી હતી . ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઇ સોલંકી ૭૩,૪૮૪ મતે જલવંત વિજેતા જાહેર કર્યા હતા . જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રૈવતસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખુમાનસિંહ ગોહિલનો પરાજય થયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૧૯૯૮ થી એટલે કે છેલ્લી ૬ ટર્મ થી ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઇ સોલંકી આ બેઠક ઉપર ચુંટાતા આવ્યા છે . ||| જ્યારે મહુવા વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શિવાભાઇ ગોહિલનો ૩૦,૪૭૨ મતે વિજેતા જાહેર થયા હતા . જ્યારે કોંગ્રેસના ડો . કનુભાઇ કળસરીયા અને આમ આદમી પાર્ટીના અશોકભાઇ જોળીયાનો પરાજય થયો હતો . ઉલ્લેખનીય છે કે , શિવાભાઇ ગોહિલ પણ ભાજપના ૨ થી ૩ વાર ચુંટાયેલા છે . જ્યારે તળાજા વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગૌતમભાઇ ચૌહાણ ૨૦,૦૫૫ મતે વિજેતા જાહેર થયા હતા . જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલુબેન ચૌહાણનો પરાજય થયો હતો . ઉલ્લેખનીય છે કે , આ બેઠક ઉપર આ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયા ચુંટાયેલા હતા . જ્યારે આ વખતે ભાજપે કોંગ્રેસની પાસેથી તળાજાની બેઠક છીનવી લીધી છે . જ્યારે પાલીતાણા વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભીખાભાઇ બારૈયા બીજી વખત ૨૮,૨૦૯ મત થી વિજેતા જાહેર થયા હતા . જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડ અને આમ આદમી પાર્ટીના જીણાભાઇ ખેની ની હાર થઇ હતી . જ્યારે ગારીયાધાર વિધાનસભાની બેઠક ઉપર સૌ પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઇ વાઘાણીનો ૪,૮૧૯ મત થી વિજય જાહેર થયા હતા .જ્યારે ભાજપના પુર્વ ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીનો અને કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશભાઇ ચાવડાનો પરાજય થયો હતો .

 અત્રે ઉલ્લેખનીય છે કે પુર્વ ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી ૧૯૯૮ થી વિજય થતા હતા આમ ૬ થી ૭ ટર્મ વિજેતા થયેલા ઉમેદવાર કેશુભાઇ નાકરાણીનો પરાજય થયો હતો આમ ભાવનગરની ૭ વિધાનસભા પૈકીની ૬ વિધાનસભામાં ભાજપના દિવ્યેશભાઇ ચાવડાનો પરાજય થયો હતો . ઉલ્લેખનીય છે કે પુર્વ ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી ૧૯૯૮ થી વિજય થતા હતા આમ ૬ થી ૭ ટર્મ વિજેતા થયેલા ઉમેદવાર કેશુભાઇ નાકરાણીનો પરાજય થયો હતો . આમ ભાવનગરની ૭ વિધાનસભા પૈકીની ૬ વિધાનસભામાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે જ્યારે ગારીયાધાર વિધાનસભાની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે . ગારીયાધારની બેઠક ભાજપ પાસેથી આપ પાર્ટીએ છીનવી લીધી છે . ભાવનગરના ૭ પૈકીની એકપણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીતી શક્યા નથી . આજે શાંતિ પુર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઇ હતી . વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નિકળ્યા હતા . આતશબાઝી અને એક બીજાના મોઢા મીઠા કરી જીતની વધામણી કરી હતી . જ્યારે કોંગ્રેસ પક્ષમાં સોપો પડી ગયો હતો

(7:12 pm IST)