Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ હોય તેવા દર્દીને જ રેમડેસવીર ઇન્જેકશનો મળી શકે તેવી ગાઇડલાઇન દૂર કરવાની માંગણી કરતા અમરેલીના ડો.ભરત કાનાબાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૯: કોરોનાના બીજો વેવ ઘણી બધી રીતે કોરોનાના પ્રથમ વેવ કરતાં જુદો પડે છે. બન્ને વેવ દરમ્યાન વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું છે અને નવા સ્ટ્રેઈનને કારણે વર્તમાન પરિસ્થિતિમાં ઘણાં ફેરફારો જોવા મળ્યા છે.

(૧) નવો સ્ટ્રેઈન ખુબજ ચેપી છે. કોરોના પોઝીટીવ દર્દી સાથે ટુંકા સમયના સંપર્કથી પણ તેનો ચેપ તંદુરસ્ત વ્યકિતને લાગી શકે છે. આના કારણે કુટુંબમાં ૧ વ્યકિત પોઝીટીવ આવ્યાં પછી, કુટુંબના લગભગ બધાજ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી જાય છે. એટલું જ નહિં આના કારણે શહેરોમાં એકજ મહોલ્લા કે શેરીમાં કે વિસ્તારમાં ખુબજ મોટી સંખ્યામાં કેસો પોઝીટીવ મળી આવે છે. નાના નાના ગામોમાં પણ ખુબજ મોટી સંખ્યામાં આવા કેસો આવી રહયા છે. એવું દેખાય રહયું છે કે કોરોનાની મહામારી હવે 'કોમ્યુનિટી ટ્રાન્સમીશન' ના સ્ટેજમાં પ્રવેશી ચુકી છે જેમાં સંક્રમિત વ્યકિતને એ પણ ખ્યાલ આવતો નથી કે તેમને કોરોનાનો ચેપ કોણે લગાવ્યો અને કયાંથી લાગ્યો.

(ર) કોરોનાના પ્રારંભિક લક્ષણો ઘણાં બધાં અલગ જોવા મળે છે. ઉધરસ / તાવ આવે તે પહેલાં શરીર તુટવું, અતિશય થાક લાગવો કે નબળાઈ લાગવી, માથું દુખવું, ભુખ જતી રહેવી, સાંધા દુખવા, આંખમાંથી પાણી નીકળવું, પેટમાં દુખાવો કે ઝાડા–ઉલ્ટી થવા – આ બધાં પ્રારંભિક લક્ષણો જોવા મળે છે.

(૩) અગાઉ કરતાં આ વખતે વાયરસ ખુબજ ઝડપથી ફેફસા પર અસર કરે છે અને કલાકોમાં જ દર્દીમાં ઓકિસજનનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. આમ ફેફસા પર અસર થવામાં ઝાઝો સમય લાગતો નથી.

(૪) આ વખતે શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ખુબ ઝડપથી ફેલાય રહયો છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સામાન્ય રીતે હોસ્પીટલમાં ખુબજ મોડા દાખલ થતાં હોય છે જેના કારણે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓમાં મૃત્યુ પ્રમાણ વધવાની શકયતાઓ છે.

(પ) કોરોનાના નિદાન માટેનો આરટીપીસીઆર ટેસ્ટ ઘણાં દર્દીમાં નેગેટીવ આવે છે. આવા દર્દીમાં તમામ લક્ષણો કોરોનાના જોવા મળતાં હોય છે અને એચઆરસીટી સ્કાનમાં પણ તેના ફેફસામાં વાયરસ ન્યુમોનિયા જોવા મળતો હોય છે આમ છતાં કોવીડ ટેસ્ટ નેગેટીવ આવે છે.

અત્યારે આરોગ્ય ખાતાના જે નિયમો અમલમાં છે તે મુજબ રેમડેસવીર ઈન્જેકશન ફકત કોરોના પોઝીટીવ દર્દીઓને જ મળી શકે છે. જયારે ઘણાં દર્દીઓમાં કોરોનાના તમામ લક્ષણો હોય છે, ફેફસા પર અસર પણ દેખાય છે છતાં, આરટીપીસીઆર નેગેટીવ આવે છે. આવા દર્દીઓને પણ સારવાર કરતાં ડોકટરની સલાહ હોય તો રેમડેસવીર મળવા જોઈએ તેવી માંગણી ડો. ભરત કાનાબારે કરી છે.

(12:41 pm IST)