Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જામનગરના લાખોટા કોઠા સ્‍થિત પુરાતત્‍વીય સંગ્રહાલયમાં રવિવારે રાષ્ટ્રીય રંગના કવિ ‘ઝવેરચંદ મેઘાણી' માટે વિશેષ વ્‍યાખ્‍યાનનું આયોજન

જામનગરની સંગીત પ્રેમી જનતા માટે ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોક સંગીતનો કાર્યક્રમ અને પુસ્‍તક પ્રદર્શન પણ યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા ૯:  જામનગર ના લાખોટા કોઠા સ્‍થિત પુરાતત્‍વીય સંગ્રહાલય (મ્‍યુઝિયમ) દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીના સંદર્ભમાં આગામી તારીખ ૧૨.૬.૨૦૨૨ને રવિવારના સાંજે ૬.૩૦ કલાકે ‘શ્રી ઝવેરચંદ મેઘાણીઃ રાષ્ટ્રીય રંગના કવિ' વિષય પર વિશેષ વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમજ સુરભી વૃંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોકસંગીતનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. સાથોસાથ તેઓના પુસ્‍તકોનું પ્રદર્શન પણ યોજાયું છે.

જામનગર લાખોટા કોઠા સ્‍થિત આવેલી પુરાતત્‍વીય સંગ્રહાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ ની ઉજવણી ચાલી રહી છે, અને તે અંતર્ગત સંખ્‍યાબંધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી રવિવાર અને ૧૨મી જૂને સાંજે સાડા છ વાગ્‍યે ‘શ્રી ઝવેરચંદ મેઘાણીઃ રાષ્ટ્રીય રંગના કવિ' વિષય પર શ્રી સતિષચંદ્ર વ્‍યાસ ‘શબ્‍દ' દ્વારા વિશેષ વ્‍યાખ્‍યાન નો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

સાથોસાથ પ્રખ્‍યાત સુરભી વૃંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોકસંગીતની રજૂઆતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્‍યો છે. અને તેઓના પુસ્‍તકોની પ્રદર્શની પણ રખાઈ છે.

રવિવારે સાંજે ૬.૩૦ વાગ્‍યે જામનગરની જનતા ને નિશુલ્‍ક પ્રવેશ અપાશે લાખોટા તળાવ ના ગેટ નંબર -૫ એન્‍ટરન્‍સ લોંન્‍જ પુરાતત્‍વીય સંગ્રહાલયમા પ્રવેશ આપીને ત્‍યાં લોક સંગીતનો કાર્યક્રમ તેમજ વ્‍યાખ્‍યાન યોજાશે. જેનો સર્વે જનતાએ લાભ લેવા જામનગર ના પુરાતત્‍વીય સંગ્રહાલયના ક્‍યુરેટર બુલબુલ હિંગલાજીયા ની યાદીમાં જણાવાયું છે.

શ્રી ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્‍યમાં બહુમુખી પ્રતિભા નું પ્રતિનિધિત્‍વ કરે છે. જેથી તેમને ‘સાહિત્‍યયાત્રી', ‘કસુંબલ રંગ ના ગાયક', ‘લોકસાહિત્‍યનો મત મોરલો',‘સોરઠી સાહિત્‍યકાર' જેવા ઉપનામથી નવાજવામાં આવ્‍યા હતા.

સ્‍વતંત્રતા સંગ્રામ વખતે તેઓ ના દેશભક્‍તિ કાવ્‍યોની રજૂઆત સાંભળીને ગાંધીજીએ તેઓને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્‍યું હતું, આથી તેમના યોગદાનને અંકિત કરતાં પુસ્‍તકો નું પ્રદર્શન પણ રાખવામાં આવેલૂ છે. જેથી જામનગરના પુરાતત્‍વીય સંગ્રહાલય દ્વારા જામનગરની જનતાને રાષ્ટ્રીયતાના કવિ અને સૌરઠી સાહિત્‍યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીના આ વિશેષ કાર્યક્રમ ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે. 

(1:33 pm IST)