Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા ગૌસેવકો/ દાતાઓનો સન્માન કાર્યક્રમ

(મહમદ રાઠોડ -નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૧૦ : છેલ્લા રપ વર્ષથી દરરોજના સરેરાશ ૧૧૨૭ ગૌવંશ નિભાવતા વાંકાનેર પાંજરાપોળના ૧૬૯ મા વર્ષે ગૌ સેવકોના સન્માન કાર્યક્રમમાં ર૩૭૯ મણ લીલી જુવારનો પાક પાંજરાપોળને આપી દેનાર વધાસીયાના ઘનશ્યામસિંહ ઝાલાએ પોતાના પુત્રના લગ્નપ્રસંગના ચાંદલાની રૂ. ૭૩૫૦૦/- રકમ પણ પાંજરાપોળને અર્પણ કરી દીધી તે બદલ શાલ ઓઢાડી સન્માન કરવા સાથે કડવા પાટીદાર યુવાકોએ ફટાકડા વેચાણનો રૂમ.૨ ,૫૦,૦૦૦/- નો નફો તથા દરવર્ષે જીવદયા ફંડમાંથી માતબર રકમ ફાળવતા જૈન દેરાસરે રૂમ.૧,૫૧,૦૦૦/- અર્પણ કર્યા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રમુખ લલિતભાઇ મહેતાએ જણાવ્યું કે એક ગાયનો નિભાવ ખર્ચ ૧ વર્ષના રૂ.૩૬૦૦૦/- જેટલો થાય છે. આ ગાય દુધ આપતી હોય તો વર્ષે રૂમ.૧.૫ લાખનું દુધ આપે - દુધ ન આપતી ગાય પણ ગૌ મુત્ર અને છાણમાંથી બનતું ખાતર ગણતાં વર્ષે રૂ. ૨૭ થી ૪૦ હજારનું વળતર આપે છે

આ પાંજરાપોળની વીડીમાં ૧૫૦ વીઘા જમીનમાં લીલો ધાસચારો, જુવાર, મકાઇ, Co2 ઘાસ, ગદબ,રજકો વાવી પશુધનને નીરણ નખાય છે તેમ જ દેશી ખાતર માટે ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ થાય છે. ગુજરાત અને દેશમાંથી કતલખાનાને બંધ કરવા પડે, પશુધનની કતલ અટકે તે માટે રાજય સરકારો અને ભારત સરકારે નીતિ-વહીવટી સરળતા અને પ્રોત્સાહક પગલાં લેવા અનિવાર્ય છે.

આ પાંજરાપોળને દર વર્ષે વિવિધ સંસ્થાઓ, જૈન દેરાસરો, ગૌ પ્રેમી નાગરિકો તથા છૂટક વેપાર, લારી ગલ્લા ચલાવતા નાગરિકને દાનપેટીમાં નાની નાની રકમ નાખી રૂમ.૧.૫ કરોડ આસપાસ ભંડોળ એકત્ર કરવા મદદ કરે છે તેમ સેક્રેટરીશ્રી કેતનભાઈ મહેતાએ જણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ અને સામાજીક સેવાના ભેખધારી શ્રી પ્રજ્ઞેશ પટેલે મોરબી-ઢુવાના કેટલાક સીરેમીક માલિકો, ફાયરબ્રીકસ ઉત્પાદકો તથા ગૌવંશ પ્રેમી નાગરિકોના દાનનો પ્રવાહ આવકારી સૌનું શાબ્દિક સન્માન કર્યું તેમજ મકરસંક્રાંતિએ રાજકોટમાં ૨૦, વાંકાનેરમાં ૧૧ અને સુરેન્દ્રનગર- જામનગરમાં મંડપ નાંખી યુવાનો દાનપેટીઓ સાથે હાજર રહે તેમાં સૌ ઉદારતાપૂર્વક દાન આપે તેવો અનુરોધ કર્યો હતો.

શ્રી અમરશીભાઇ મઢવીએ પોતાની આગવી શૈલીમાં ૧૮૯ વર્ષથી ચાલતી આ પાંજરાપોળની ચડતી-પડતી વર્ણવી. પાંજરાપોળના જીવદયા-પશુરક્ષા, પંખીઓને ચણ, કુતરાઓને રોટલા નિયમિત અપાય છે તેની વિગતો આપી હતી, તેમજ ફેસબુકમાં શુભપ્રસંગો જન્મદિનની વિગતો મુકી રૂ.૧૧૧૧/- ના દાનની યોજના જાહેર કરી હતી.

જૈનસંઘના પ્રમુખ પ્રવિણભાઇ દોશી, સેક્રેટરી રાજુભાઇ મહેતા, કડવા પાટીદાર અગ્રણી દીપકભાઇ રૈયાણી, સુરેશભાઇ પટેલ, મણીભાઈ પટેલ, સુરેશભાઇ પ્રજાપતિ, બાપા સીતારામ યુવક મંડળ, તળપદા કોળી યુવક મંડળ, ખોડીયાર ગ્રુપ મીલપ્લોટ, વાસુકી મંડળ નવાપરા, પૂજાપાન ગ્રુપના ૧૧૨ ગૌ સેવકોનો પાંજરાપોળના મેનેજર અજય આચાર્યએ આભારવિધી કરી હતી.

(10:59 am IST)