Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પોરબંદરમાં પાકિસ્તાનના ૧૦ ખલાસીઓની પુછપરછ

ભારતીય જળ સીમામાં ઝડપાયેલી પાકિસ્તાનની બોટના ખલાસીઓ સંતોષકારક જવાબો નહી આપતા પોરબંદર લાવવામાં આવ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ : ભારતીય જળસીમાંની અંદર ઘુસી ગયેલ પાકિસ્તાનના ૧૦ ખલાસીઓ સાથેની બોટને કોસ્ટગાર્ડે પકડી પાડયા બાદ પાકિસ્તાનના ૧૦ ખલાસીઓ સંતોષકારક જવાબો આપી નહી શકતા તેઓને પુછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે. અને પાકિસ્તાનના ૧૦ ખલાસીઓની સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછપરછ કરાશે

ભારતીય તટરક્ષક દળનું જહાજ 'અંકિત' અરબ સમુદ્રમાં ઓપરેશનલ પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ યાસીન પકડી પાડવામાં આવી હતી. અને તેમાંથી ૧૦ પાકિસ્તાની ક્રુની ધરપકડ કરવામાં આવી હતી. મધ્યરાત્રીએ ભારતીય જળસીમમાંથી આ બોટ પકડવામાં આવી હતી કથિત બોટને આંતરવામાં આવી અને તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પુછપરછ કરવામાં આવી ત્યારે સંતોષકારક જવાબ ન મળતા આઇએનએસ જહાજે તેમની ધરપકડ કરી હતી.

આઇએનએસ જહાજ જોતા જ પાકિસ્તાની માછીમારી બોટે શરૂઆતમાં ત્યાંથી નાસીને પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આઇએનએસ જહાજે વિપરત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલીક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડયું હતું. અને તેને પકડી લેવામાં આવી હતી

કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીનમાં પ્રારંભીક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે ર૦૦૦ કિલો માછલી અને ૬૦૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરવામાંં આવેલા ૧૦ ક્રુને વધુ વિગતવાર તપાસ અને સંયુકત પુછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા હતા.

(12:44 pm IST)