Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચોટીલા પંથકમાં કોરોના જેટ ઝડપે : ત્રણ દિવસમાં સદીને પાર

એસબીઆઇ, બીઓબી કોવીડને કારણે બંધ : આરોગ્ય કર્મી અને પોલીસ કર્મીઓ પણ લપેટમાં

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૧૦ : યાત્રાધામ ચોટીલામાં કોવીડ ની લહેર બેકાબુ બનતી જાય છે. વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ ની સંખ્યા ૧૦૦ને પાર થયેલ છે. જેના કારણે ફફડાટ ફેલાયેલ છે.

જાણવા મલ્યા મુજબ દરરોજ હજારો લોકોની સતત અવર જવર ધરાવતા યાત્રાધામ નેશનલ હાઈવે ઉપરના મહત્વના મથક ચોટીલામાં ગઇ કાલ શુક્રવારના એક જ દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો ૫૦ ને પાર થયેલ છે.

ત્યારે સતત આગળ વધતા જતા સંક્રામણને ખાળવા માટે શહેરમાં કડક પગલા લેવા જરૂરી બનેલ છે.

શહેરના વેપારીઓમાં પણ કોવીડ ના નિયમો પ્રત્યે બેદરકારી જોવા મળે છે ત્યારે કહેવાતા આગેવાનો એ આ બાબતે જાગૃતતા લાવવા કમર કસવી જોઈએ અને આગળ વધતી ચેઇન તોડવા માટે નક્કર આયોજન ને અમલી બનાવવું જોઈએ જોકે સ્થાનિક સ્થિતિ જોતા ધંધાદારીઓ અને રાજકિય પક્ષા પક્ષી એક બાજુએ મુકી શહેરની સલામતી ઉપર દરેકે ધ્યાન આપવું દરેક માટે હિતાવહ છે.

કોરોનાની ઝપટમાં પ્રથમ એસબીઆઈ, ગઇકાલે બીઓબીના કર્મચારીઓ ઝપટમાં આવતા શાખાને બંધ રાખવાની ફરજ પડેલ છે તો મોલડી પોલીસ મથકના પાચ કર્મીઓ લપેટમાં આવેલ છે જેના કારણે પોલીસ મથકમાં કોઈએ કામ સિવાય આવવુ નહી તેવા મોલડી પોલીસ સ્ટેશન બહાર સ્ટીકર્સ લાગેલ છે. ઉપરાંત આરોગ્ય વિભાગના પણ આઠ જેટલા કર્મચારીઓ ને કોરોનાએન લપેટમાં લીધા છે.

ત્યારે દિવસે દિવસે કેસો સતત વધી રહ્યા છે બે ઉમર લાયક વડીલોએ રાજકોટ ખાતે જીવ પણ ગુમાવ્યો છે હજુ શરૂઆત છે બધા ધારે તો કેટલાક આયોજનો સાથે ચેઇન તોડવા લડી શકાય તેમ છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ લોકો મોટા પ્રમાણમાં ટેસ્ટ કરાવવા ઉભરી રહ્યા છે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ૨૦ બેડ ની વ્યવસ્થા ઉભી કરાયેલ છે પરંતુ વેન્ટીલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂરીયાત છે ઉપરાંત શકય તેટલા ટેસ્ટ વધારવાની પણ જરૂરીયાત છે.

ચોટીલા પંથકમાં વેકિસન કામગીરીને ગ્રામ્ય પંથકમાં લોકો નો સહકાર ઓછા પ્રમાણમાં મળતુ હોવાનું જાણવા મળે છે ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ એ આ અંગે લોક જાગૃતિ લાવવા જહેમત ઉઠાવવી અનિવાર્ય છે.

શહેરમાં માસ્ક અને સામાજીક અંતર પ્રત્યે મોટી બેદરકારી ઉડીને આંખે વળગે છે. કોવીડ નિયમો પ્રત્યે બેદરકારી વધતા કહરમાં વધારો કરતી જણાય છે કડક કાયદાના અમલ માટે લાગતા વળગતા અધિકારીઓ ની ઉદાસીનતા ઉદાસીનતા જણાય છે જેનો ભોગ સામાન્ય જનતા બને તે પહેલા નિયમોના અમલ માટે કડક હાથે કામ લેવું જોઇએ.

(11:46 am IST)