Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મોરબી : સરકારી આંકડા મુજબ 7 પોઝિટિવ દર્દીના મૃત્યુ જ્યારે ફાયરે 12 ડેડબોડીના અંતિમ સંસ્કાર કર્યા

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિ અને ભાજપના કેમ્પમાં 200 જેટલા પોઝિટિવ રિપોર્ટ આવવા છતાં આજે પણ સરકારી ચોપડે માત્ર 52 કેસ જ દર્શાવ્યા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3945 કેસમાંથી 3359 સાજા થયા, જ્યારે આજે વધુ સાત દર્દીના મૃત્યુ સાથે કુલ 257ના મોત, એક્ટિવ કેસ વધીને 329 થયા

મોરબી : મોરબી જિલ્લા કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે પણ ભાજપના રેપીડ ટેસ્ટ કેમ્પમાં 200 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવવા છતાં આરોગ્ય વિભાગે આજે 10 એપ્રિલ, શનિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2767 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 52 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

 

જ્યારે આજે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ 7 કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે નિર્ભર સરકારી તંત્ર દ્વારા સત્તાવાર આજે પણ મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી. જ્યારે ફાયર વિભાવ દ્વારા આજે કુલ 12 ડેડબોડીના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કર્યાની માહિતી મળી રહી છે.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ
મોરબી સીટી : 20
મોરબી ગ્રામ્ય : 12
વાંકાનેર સીટી : 04
વાંકાનેર ગ્રામ્ય : 03
હળવદ સીટી : 05
હળવદ ગ્રામ્ય : 03
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 03
આજના જિલ્લાના કુલ નવા કેસ : 52

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
મોરબી તાલુકામાં : 13
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 18
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત
કુલ એક્ટિવ કેસ : 329
કુલ ડિસ્ચાર્જ કેસ : 3359
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 232 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 257
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3945
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 213541.

(10:00 pm IST)