Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પતિ તેડવા નહિ આવતા વિસાવદરના પિયાવાની પરિણીતાનો પિયરમાં આપઘાત

મૃતકના પિતાની જમાઇ સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : પતિ તેડવા નહિ આવતા વિસાવદરના પિયાવા-ગીર ગામની પરિણીતા શિલ્પાબેન મગનભાઇ રૂદાતલા (ઉ.૨૦)એ પિયરમાં આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃતક યુવતિના લગ્ન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રામપરા ગામના અજય મનસુખભાઇ પાટડીયા સાથે અગિયારેક મહિના પહેલા થયેલ.

પરંતુ શિલ્પાને પતિ કામકાજ બાબતે અને તું કઇ કરિયાવર લાવી નથી તેમ કહી અને તારે મારી સાથે લગ્ન નહોતા કરવા છતાં તે કરેલ છે તેમ જણાવી ત્રાસ આપતા શિલ્પા તેના પિયર પિયાવા - ગીર ગામે રિસામણે હતી.

આ દરમિયાન તા. ૮ના રોજ શિલ્પાબેને ઝેરી પાવડર પી લેતા તેણીને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં શિલ્પાનું ગઇકાલે સારવાર દરમિયાન મૃત્યુ થયુ઼ હતું. દરમિયાન મૃતકના પિતા મગનભાઇ પરબત રૂદાતલાએ જમાઇ અજય પાટડીયા વિરૂધ્ધ ગઇકાલે સાંજે વિસાવદર પોલીસમાં શિલ્પાબેનને અજય સાથે રહેવું હોય છતાં તેડી જતો ન હોવાથી જેનાથી કંટાળી જઇ અને અજયે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના આધારે પીએસઆઇ  આર.ડી.ડામોરે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:58 pm IST)