Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

લાઠીની હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીના મૃતદેહની ચોરીમાં ર સામે ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૦ :.. લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે રહેતા યાસીનભાઇ શેખ નામના કોવીડ પોઝીટીવ દર્દીનું તા. ૭ ના રોજ લાઠીની એમ. આર. વળીયા સરકારી હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. ફરજ પરના મેડીકલ ઓફીસર દ્વારા તેના પરિવારના લોકોને એવું જણાવવામાં આવ્યું હતું કે મૃતક કોરોના પોઝીટીવ હતા અને સરકારની ગાઇડલાઇન મુજબ તેમને કબ્રસ્તાન સુધી લઇ જવાની અને દફનાવવાની વિધિ એમની સંસ્થા દ્વારા ગાઇડલાઇનના પાલન સાથે કરવામાં આવશે અને મૃતદેહને પરિવારના લોકોને સોંપી શકાય નહીં.

આમ છતાં પણ તેમના પરિવારના મોહસીનભાઇ શેખ અને અહેમદભાઇ શેખ દ્વારા કોઇને પણ જાણ કર્યા વગર ગુપ્ત રીતે મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ બારોબાર કોવીડ પોઝીટીવ દર્દીના મૃતદેહના તેના સગાઓએ દફનવિધી પણ કરી હતી.

સવારે ૭.૩૦ થી ૯ ની વચ્ચે આ ઘટના બની હતી અને તંત્રને ૯ વાગ્યા આસપાસ ઘટનાની જાણ થઇ હતી. અને તપાસ કરતા તેની દફનવિધી પણ થઇ ગઇ હતી. અંતે મેડીકલ ઓફીસર દ્વારા હોસ્પિટલમાંથી પોઝીટીવ દર્દીનો મૃતદેહ ચોરનારા બન્ને સગાઓ સામે ગુનો નોંધાવાયો છે.

બીજી તરફ હોસ્પિટલમાં કોવીડ પોઝીવીટ લાશોની સુરક્ષા સામે અનેક સવાલો ખડા થયા છે. કોવીડ વોર્ડમાં કોઇપણ સગાઓને જવાની મંજૂરી નથી તો આ સગાઓ મૃતદેહ લેવા માટે કઇ રીતે પહોંચી શકયા ? મૃતદેહ ચોરી જવામાં સફળતા પણ મળી ગઇ ત્યાં સુધી ત્યાં ધ્યાન રાખનાર કોઇ નહોતું.?

(4:11 pm IST)